દિવાળી આવી કે દેવાવાળી - Dhaval Khatsuriya

દિવાળી આવી કે દેવાવાળી -  Dhaval Khatsuriya


ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જ્યાં વિવિધ ધર્મના વિવિધ તહેવારો ઉજવાય છે. માટે અહીંની પ્રજા ઉત્સવપ્રિય રહી છે. તમામ તહેવારો ખુબ જ હોશથી ઉજવાય છે.
એમાંય શ્રાવણ માસથી દિવાળી સુધીમાં અનેક તહેવારો છે. શ્રાવણ માસ પૂરો થાય ત્યાં સુધીમાં રક્ષાબંધન, સાતમ આઠમ, અને અંતમાં ભાદરવી અમાસ (સૌરાષ્ટ્ર માં વિશેષ મહત્વ), પછી ગણપતિ ઉત્સવ ત્યારબાદ શ્રાદ્ધ અને પછી નવરાત્રી. આ બધા તહેવારો પુરા થાય ત્યાં સુધીમાં જ માણસ પોતે એટલો આર્થિક રીતે નિચોવાઇ ગયો હોય કે વધ્યું ઘટ્યું દિવાળીમાં રહે..
અને દિવાળીમાં તો આ બધા તહેવારોમાંથી સૌથી વધુ ખર્ચ થતા હોય, જો કે એક બાજુ એવી પણ છે કે આ બધું ચાલે છે એટલે જ દિવાળી તહેવાર દેખાય છે. દિવાળી હોય એટલે લોકોના ઘર ઝગમગતા હોય. અનેક વસ્તુઓ ઘરમાં નવી આવતી હોય અને અમુક વસ્તુઓ ભંગારમાં જતી હોય. ખુબ બધી ખરીદી કરવાની હોય. બજારોમાં ભીડ હોય..
ખર્ચમાં કોઈ કાપ નહિ.. કપડાંના ખર્ચાઓ, સાજ-શણગારના ખર્ચાઓ, મકાનના સુધારાવધારાના ખર્ચાઓ, બાળકોના ફટાકડાના ખર્ચાઓ, કલરકામ, સુંદર સુંદર ભોજન બનાવવાના ખર્ચાઓ તો કરવાના જ.
આવી કપરી પરિસ્થિતિમાં માણસ જાય ક્યાં.... આવક ઘટે અને ખર્ચ વધે ત્યારે બધું તંત્ર વિખાય જાય છે...  રોજની ૨૦૦-૩૦૦ રૂપિયા ખર્ચ કરતી ગૃહિણીઓ ઓચિંતા રોજના ૧૦૦૦-૧૫૦૦ રૂપિયા વાપરતી થઇ જાય છે. રોજ સાંજે બજારમાં જવાનું થતું હોય.

એક દિવસ શૂઝ તો એક દિવસ કપડાં... પોતે તો ઠીક પોતાના મકાનને પણ નવુ બનાવી દે છે માણસો...
ઢગલાબંધ ખરીદી અને મુઠ્ઠીભર પગાર.. એમાંય આ વર્ષે દિવાળી અને નવરાત્રી બંને મોટા તહેવારો ઉપરાંત દશેરા અને શરદ પૂનમ બધા ખર્ચાળ તહેવારો બધા જ એક સાથે એક જ અંગ્રેજી મહિના ઓક્ટોબર મહિનામાં જ આવ્યા એટલે એક મહિનાના પગારમાં બધા તહેવાર કેમ કાઢવા એ વિચારે જ પુરુષો મુંજાઇ ગયા છે.
અત્યાર સુધી આ બધા તહેવારો અલગ અલગ અંગ્રેજી મહિનામાં આવતા એટલે બે પગારમાં બધું ગોઠવાઈ જતું...ઘરમાં પિતા પોતાના સંતાનો અને મહિલાઓની ખરીદી થઇ જાય પછી પોતાનું વિચારતો હોય છે પણ આ વર્ષે એ ખાલી વિચારવાનું જ રહી જાય એમ છે છતાં લોકો પોતાની અનુકૂળતા મુજબ દિવાળી ઉજવે જ છે.. અને ઘણા એવું વિચારીને જ માથે દેવું કરે કે દિવાળી પછી દઈ દઈશ.
અને પછી લાગે છે પોતાની દિવાળી આવી કે દેવાવાળી...

Dhaval Khatsuriya
dhaval5790@gmail.com

અલગ અલગ પ્રકારના ફટાકડાઓ અને માણસો !!


અલગ અલગ પ્રકારના ફટાકડાઓ અને માણસો !!-અંકિત સાદરીયા

આજકાલ દિવાળી પર અવનવા ફટાકડાઓ આવે છે (“ફટાકડી” ! કોણ બોલ્યું ?) કોઈ જોરથી ફૂટવાવાળા તો કોઈ પ્રકાશ ફેલાવવાવાળા, કોઈ વળી જમીન પર અજબ ગજબ પ્રદર્શન કરવાવાળા તો કોઈ એરફોર્સની જેમ આકાશમાં કરતબ દેખાડવા વાળા. ભલે ફટાકડા અલગ અલગ પ્રકારના હોઈ , પણ મજા જ આપે.
માણસોમાં પણ આવું જ છે, અલગ અલગ પ્રકારના માણસો હોઈ છે, ચાલો માણસોની સરખામણી ફટાકડાઓ સાથે કરીએ ( હસતા હસતા !! )

wejvians
અલગ અલગ પ્રકારના ફટાકડાઓ અને માણસો



૧. સુરસુરિયા 

આ કોઈ ફટાકડાનો ટાઈપ નથી. બધી ટાઈપના ફટાકડાઓમાં આવા અમુક નંગ આવી જાય. સળગાવ્યા પછી આપણને થાય કે હમણાં જોરથી ફૂટશે, પણ સુરસુરયું થઇ જાય. થોડીક વાર તો કોઈ નજીક પણ નાં જાય કે કદાચ હજુ ફૂટશે તો.
અમુક  માણસોમાં પણ આવા જ હોઈ છે. પોતાના બહુ જ વખાણ કરતા હોઈ, “અંકિતભાઈ  ક્યારે પણ કામ હોઈ તો કે’જો , આપણી ફલાણે, ધીકળે બોવ જ ઓળખાણ છે.” પણ જયારે કામ સોપો તો સુરસુરિયું થઇ જાય.

૨. અવાજ કરવાવાળા બોમ્બ
અમુક ફટાકડાઓ એવા હોઈ , જોતા તો એમ જ લાગે કે આ શું ફૂટશે, પણ જેવો સળગાવો જોર થી અવાજ કરે. આ ફટાકડાઓને બહુ ધ્યાનથી ફોડવા પડે.  માણસો પણ એવા હોઈ, એટલી અપેક્ષા ના  હોઈ, અને જોતા એવરેજ લાગતા હોઈ એ અમુક સમયમાં બોવ મોટું કાઠું કાઢી જાય. જગવિખ્યાત થઇ જાય.

૩. કાગળીયા કાગળીયા કરી નાખે એવા બોમ્બ
ચકલીછાપ, લક્ષ્મીછાપ ફટાકડા આવે છે, જોવો તો બોવ મોટા હોઈ પણ સળગાવો તો કાઈ અવાજ ના આવે અને આખી શેરીમાં કાગળિયાં કાગળીયા કરી નાખે. કેટલાક માણસો પણ આવા જ હોઇ, જેમની પાસે થી બહુ જ અપેક્ષા હોઈ અને લાગતું હોઈ કે આ કૈક કરશે પણ એ છેલ્લે તો “કચરો” જ કરે.

૪. આકાશમાં ફૂટવાવાળા
રોકેટ અને તારામંડળ કે જે આકાશમાં જઈ ને ફૂટે છે .તારામંડળ આકાશમાં જઈ ને મસ્ત ભાત બતાવે છે , આખું આકાશ ઝળહળી ઉઠે. જયારે રોકેટ આકાશમાં જઈ ને ખોવાય જાય, ખાલી અવાજ સંભળાય. લોકોનું પણ એવું જ છે અમુક લોકો તારામંડળની જેમ ઉપર પહોચી ઝળહળી ઉઠે. બધા લોકોને એના પર ગર્વ થાય. જયારે અમુક લોકો રોકેટની જેમ આગળ જતા રહે અને ખોવાય જાય.     

૫. શંભુ અને ભોચક્રીઓ (ભમરડી)
આ બે ફટાકડાની અલગ જ પહેચાન છે. તમે ફટાકડા દુકાને લેવા જાઓ એટલે આ બંનેના એક એક બોક્સ તો લેવા ય જ જાય. બંને ફટાકડા બાળકો ને ખુશ ખુશ કરી દે. અવાજનું પ્રદુષણ ના કરે અને આખું ફળિયું ઝગમગાવી દ્યે. આમ જ ઘણા લોકો બધાના પ્રિય હોઈ છે. લોકો હમેશા તેમની સાથે રહેવાનું પસંદ કરતા હોઈ છે અને બધે એમની ડીમાન્ડ પણ વધારે હોઈ છે.

૬. ફૂલખેણી કે ફૂલઝર
આમ તો  “ફૂલખેણી “ શબ્દ સાંભળી ને ફટાકડો મગજમાં આવે તો તો તમને ધન્ય છે. એ હોઈ જ સુંદર. નાના બાળકોથી માંડી ને મોટેરાઓ ને પણ એમના તરફ આકર્ષણ રહે. સાવ સરળ ને સીધી સાદી , લોકો એમને હાથમાં રાખતા પણ નાં ડરે. નાના પાંચ- છ વર્ષના બાળકનાં હાથમાં પણ પકડાવી દ્યે. આમ જ અમુક લોકો સાવ સરળ અને સીધા હોઈ છે જેના પર લોકો સાવ આસાનીથી ભરોસો મૂકી શકે.

જો કે અત્યારે હજારો ટાઈપના ફટાકડાઓ મળે છે અને માણસો પણ !!!!

તિખારો -
“,મમ્મી , આપને બધા ફટાકડાઓ આ જ દુકાને થી લેશું હો “
“પણ બેટા, આ તો ગર્લ્સ હોસ્ટેલ છે “
“પપ્પા તો કહેતા હતા અહી એક થી એક મસ્ત ફટાકડા મળે છે”    



અંકિત સાદરીયા
સેક્શન - અસ્તવ્યસ્ત
www.ankitsadariya.in

જીતવું જરૂરી નથી ? - Guest Post by Bhupendrasinh Raol


જીતવું જરૂરી નથી ? - રાઓલ ભૂપેન્દ્રસિંહ આર



આપણે ટીવીમાં સારેગામા કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ કે ઇન્ડિયન આઇડોલ જેવા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ જોતા હોઈએ છીએ ત્યારે નોંધ્યું હશે કે કે કોઈ સ્પર્ધક બહાર ફેંકાઈ જાય ત્યારે ત્યાં બેઠેલા જજ કે પધારેલા વિશેષજ્ઞ મહેમાન પેલા રડતા સ્પર્ધકને કહેતા હોય છે કે જીતવું જરૂરી નથી ભાગ લીધો અને આટલે પહોંચ્યા તે મહત્વનું છે. એમ કરીને આશ્વાસન આપતા હોય છે. બહુ વખત પહેલા હું આવો એક નાના બાળકોનો પ્રોગ્રામ જોતો હતો. લીટલ ચેમ્પ કરીને આ પ્રોગ્રામમાં મહેમાન તરીકે સંગીતનો ‘સ’ જાણતા ના હોય એવા એક ફેમસ બાબા પધારેલા. વિરોધાભાસ જુઓ કે જીતવું જરૂરી નથી એવી સુફિયાણી સલાહ આપી પછી એમની વાત કહેતા બોલ્યા કે નાનપણથી વિચારેલું કે એકવાર જીંદગીમાં પ્રથમ આવવું છે. પ્રથમ આવવું મતલબ ક્યાંક ને ક્યાંક તો લડાઈમાં જીતવું છે અને વાનરો તે ૫૦૦ લાખ વરસથી કરી રહ્યા છે. 

નેચરલ સિલેક્શને આપણું બ્રેન જ એવી રીતે બનાવેલું છે કે જ્યારે આપણે પ્રથમ આવીએ ત્યારે ખુશી કે આનંદ ગિફ્ટ રૂપે મળે છે. મતલબ પ્રથમ આવીએ કે કોઈ જીત મેળવીએ કે કોઈના ઉપર હાવી થઇ જઈએ અંગ્રેજીમાં કહું તો ડોમિનન્ટ ફિલ કરીએ ત્યારે બ્રેનમાં સિરોટોનીન નામનું ન્યુરોકેમિકલ સ્ત્રવે છે જે ખુશીની અનુભૂતિ કરાવતું હોય છે. ૧૯૮૦મા આ વાત શોધાઈ વૈજ્ઞાનિકો દ્વારા, જે હજુ સભ્ય સમાજમાં જોઈએ તેવી પ્રચલિત નથી થઈ. ભારતમાં તો માનવી જ મૂશ્કેલ છે.

આ કુદરતી હરીફાઈ કુદરતનું જલદી ન સમજાય તેવું ગરમ ગરમ ધૂમ્મસ છે. એની પાછળનો હેતુ તો સારો જ હશે. હમેશાં સામાજિક આપખુદી social dominance ઈચ્છતા બ્રેનને આપણે કાબુમાં રાખવું એક બહુ મોટી ચેલેન્જ છે. કોઈ ધાર્મિક, અધ્યાત્મિક પ્રવચનો, સલાહ, સૂચનો, ઉપદેશો અહીં કામ લાગતા નથી. અનાસક્ત યોગ અને ગીતાના પ્રવચનો ઠોકી ઠોકી કોઈ મહાત્મા પોતે જ એ લાઈનમાં પ્રથમ બની ધનના ઢગલા પર બેસી જતો હોય છે.


જીતવું જરૂરી નથી, મહત્વાકાંક્ષા સારી નહિ, અહંકાર નહિ સારો, બધા પાપનું મૂળ જ તે છે, વગેરે વગેરે ઉપદેશો આપનારાઓની મહત્વાકાંક્ષા બહુ મોટી હોય છે. આવા ઉપદેશો આપી તેઓ એક જાતનો માર્ગ ચોખ્ખો કરતા હોય છે કે અમને એકલા દોડવા દો, અમારા ઉપદેશ સાંભળી જેટલાં હરીફો ઓછા થઈ જાય તેટલું સારું..
જીતવું જરૂરી નથી ?

એટલે નંબર વન બનવાના કુદરતી આવેગો એ અગવડ ભરેલું સત્ય છે. એને સમજવાથી એક તો વ્યર્થ સંઘર્ષથી દૂર રહી શકાય અને વધુ સારી સિરોટોનીન લાગણી અનુભવી શકાય. લાખો વર્ષથી વારસામાં મળેલી ન્યુરોકેમિસ્ટ્રીને અવગણવાથી કોઈ ફાયદો નથી. 

આપણે બીજી વ્યક્તિમાં આ પ્રથમ બનવાનો કે જીતવાનો કુદરતી આવેગ છે તેની હસી ઉડાવી મજાક કરીશું. પણ આપણે પોતે તો શરીફ હોઈએ નીતિવાન હોઈએ તેમ એ આવેગ આપણામાં છે જ નહિ તેવું માનીશું અથવા એને રેશનલાઈઝ કરીશું. કોઈ વાજબી કારણ ખોળી કાઢીશું. હવે આવું સતત કરવામાં ચીડ ગુસ્સો અને રોષનો જાતે જ ભોગ બની જવાના. બીજી તકલીફ એ થાય કે આ કુદરતી આગ્રહપૂર્વકની ક્રિયાને યોગ્ય રસ્તો ના મળે તો સિરોટોનીન સ્રાવ સાવ ઘટી જવાને કારણે અંદર ને અંદર ગૂંગળાઈ જવાનું થાય. સાથે સાથે નૈતિક રીતે મહાન છીએ તેવું બતાવવા કોઈ પણ કિંમતે સંઘર્ષ ટાળી જબરજસ્તી કરનારને, ગુંડાને(bullies) શરણે થઈ જવાના. એકલદોકલ તો ઠીક ક્યારેક આખો સમાજ આવું કરતો હોય છે. ભારત એનું બહુ મોટું ઉદાહરણ છે. જેટલા પણ આક્રાન્તા આવ્યા ભારત પોતે નૈતિક રીતે અધ્યાત્મિક રીતે મહાન છે, યુદ્ધખોર નથી તેવું બતાવવા સંઘર્ષ ટાળી હમેશાં શરણે થઈ ગયું છે. હજુ કશો ફરક પડ્યો નથી.

શા માટે સામાજિક પ્રભાવ, સત્તા, સત્તાધિકાર મળે ત્યારે બ્રેન સિરોટોનીન આનંદની ભેટ શું કામ આપતું હશે? સસ્તન પ્રાણીઓએ હુમલાખોરથી બચવા ગ્રૂપમાં રહેવાનું શરુ કર્યું. જેથી સાઈડ બાય સાઈડ મજબૂત અને નબળા પ્રાણીઓ સાથે જીવી શકે અને બચી શકે. તેઓએ બ્રેન પણ એવું ઇવોલ્વ કર્યું કે જે બીજા સાથે સતત સરખામણી કર્યા કરે. એમાં લાગે કે કોઈ ફાયદો નથી તો બ્રેનમાં કોર્ટીસોલ નામનાં રસાયણનો સ્રાવ થશે તે દુઃખ આપશે અને વધુ પીડા સહન કરવી એના કરતા પાછા વળો ભાઈ. અનેલાગે કે આપણે મજબૂત સ્થિતિમાં છીએ તો બ્રેનમાં સિરોટોનીન સ્રાવ થઈને આનંદ આપશે જેથી તે આનંદ તરફ પાછો વધુ પ્રયત્ન કરવાનું મન થાય. એનો મતલબ એ નથી કે સતત સંઘર્ષ કરવો. ઉલટાનું સસ્તન પ્રાણીઓ બને એટલો સંઘર્ષ ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. ફક્ત જીત મળે એવું લાગતું હોય ત્યારે જ સંઘર્ષમાં ઉતરતું હોય છે. ક્યારેક ખોરાક કે મેટિંગ ઓપરચ્યુનીટી ભલે ગુમાવવી પડે પણ શારીરિક ઈજા વધુ ખતરનાક નીવડતી હોય છે તો તેનાથી બચો.

આપણે સભ્ય સમાજ સહકાર અને સહાનુભૂતિની વાતો કરીએ છીએ. પ્રાણીઓ એનાથી મજબૂત પ્રાણીને શરણે જાય છે ત્યારે સહકાર કે સહાનુભુતિ નહિ મજબૂરી હોય છે. આપણે ત્યાં મહાવરો છે ભય વિના પ્રીત નહિ. તે અમસ્તો નથી પડ્યો. તમે નબળા હો તો જબરાને શરણે સર્વાઈવ થવા થઈ જવાના  અને એને સહકાર સાથે સદભાવ પણ આપવાના જ છો. છતાં ભય વગરનું પણ એક સામાજિક જોડાણ પણ હોય છે. તેને માટે ઓક્સીટોસીન રસાયણ જવાબદાર છે. પ્રેમ અને વિશ્વાસનું જનક આનંદદાયક આ રસાયણ છે. આનું કડવું સત્ય એ છે કે તે ટોળાની માનસિકતા પેદા કરે છે. તમને હમેશાં ટોળામાં રહેવાનું જ ગમે છે. ટોળા બહાર નીકળો સમૂહ બહાર નીકળો એટલે તરત બ્રેનમાં પીડાદાયક કોર્ટીસોલ સ્રાવ થવાનો. ટોળામાં ઘૂસ્યા એટલે તરત શાંતિ.


આ રસાયણો એટલું બધું ગુડ ફીલિંગ કરાવતા હોય છે કે તમે સતત એને ચાહ્યા કરતા હોવ છો. મતલબ સુખની લાલસા વધતી જાય છે. સતત આનંદ મળે તેવી ઈચ્છા થયા જ કરતી હોય છે પણ તકલીફ એ છે કે આ રસાયણો સતત સ્રાવ થવા ઇવોલ્વ થયેલા જ નથી. એટલે જે જાણીને બેઠા છે બુદ્ધ મહાવીર કે કૃષ્ણ જેવા તેઓ સુખ અને દુખની પાર જવાનું કહેતા હોય છે. આ મહાપુરુષોને બ્રેન કેમેસ્ટ્રીની ખબર નહોતી. આ તો હમણા ૧૯૮૦મા ખબર પડી પણ અનુભવ મોટો શિક્ષક છે. અનુભવથી આ લોકો કહેતા હશે કે તમે સતત સુખ ના મેળવી શકો તેમ સતત દુઃખ પણ ના મેળવી શકો તો પછી એને પાર જાઓ. મહાવીર રાગ/વિરાગ નહિ વીતરાગ કહેતા. બુદ્ધ પ્રેમ અને ઘૃણા થી ઉપર ઉઠી કરુણાની વાતો કરતા તો કૃષ્ણે અનાસક્ત યોગની વાતો કરી. એટલે આપણે સતત સારું સારું અનુભવવા માંગતા હોઈએ છીએ પણ બ્રેન તે માટે ઇવોલ્વ થયેલું નથી. બ્રેન સતત સુખ આપતા રસાયણો છોડી શકે નહિ. અને દરેક માણસ તરફ વિશ્વાસ રાખવો સર્વાઈવલ માટે જોખમી છે. એટલે જ્યારે જ્યારે આપણે સિરોટોનીન અને ઓક્સીટોસીન જેવા રસાયણોને લીધે સારી લાગણી અનુભવીએ છીએ હર્ષ થાય છે તે અનુભવ બ્રેન ભવિષ્ય માટે ગાંઠે બાંધે છે. અને તે રીતે તમે કાયમ પ્રવૃત્ત થવા બ્રેનમાં એક ન્યુરલ રાજમાર્ગ બનાવો છો. ભૂતકાળના અનુભવો ભવિષ્ય માટે કામ લાગતા હોય છે. દાખલા તરીકે તમે નાના બાળક છો અને ઘરમાં કશું તોડ્યું તો તેના બદલે પિતા કે માતા તરફ થી સજા મળી કે ઠપકો મળ્યો. આ એક સામાજિક અસ્વીકાર થયો. બ્રેન તરત કોર્ટીસોલ રસાયણ સ્રાવ કરશે તમે દુઃખી થવાના. એમાંથી તમે શીખવાના કે ઘરમાં કશું તોડવું નહિ. પેઈન એવોઈડ કરો. ઘરમાં તમે માતા કે પિતાને હેલ્પ કરી સારું કામ એમના હિસાબે કર્યું તમને રીવોર્ડ મળશે શાબાશી મળશે, થોડું વહાલ મળશે. કશું મીઠાઈ જેવું ખાવાનું આપશે. એટલે બ્રેન તરત ઓક્સીટોસીન સ્રાવ કરશે પ્રેમ અને વિશ્વાસ વધશે આનંદ આનંદ.. આમ બ્રેનમાં ન્યુરોન્સ કનેક્ટ થઇ એક રાજમાર્ગ બનાવશે. ભવિષ્યમાં આનંદ મેળવવા તે કામ લાગશે. કે ઘરમાં કશું તોડવું નહિ પણ હેલ્પ કરવી.


એનાથી ઊલટું પણ થઈ શકે. તમે તોડફોડ કરો માતાપિતા ઢીલા હોય ગભરાઈ જાય તમારા શરણે થઈ જાય તમારી માંગ ઘટિત કે અઘટિત સ્વીકારી લે બ્રેન સિરોટોનીન સ્રાવ કરશે તમને આનંદ મળશે. તમે ડોમિનન્ટ ફિલ કરશો. ન્યુરોન્સ આ અનુભવ કામ લઈ સર્કીટ બનાવશે ભવિષ્યમાં તમે કશું જોઈતું હશે તો ઘરમાં તોડફોડ કરશો. તકલીફ ત્યારે થશે જ્યારે તમે તમારી માંગ સ્વીકારવા બહાર કોઈ સાથે તોફાન કરશો તો માર પડશે. તે વખતે તમને થશે આ દુનિયાને શું થયું છે? દુનિયા તમારા અનુભવો મુજબ ચાલતી નથી. બહાર ડગલેને પગલે અલગ લોકો અલગ અનુભવ લઈને ફરતા હોય છે. બહાર તમારી તોડફોડને લીધે ઘરમાં જે સહકાર મળતો હતો તે ના મળે. માતા આગળ દાદાગીરી કરી સિરોટોનીન ઓક્સીટોસીન આનંદ મેળવતા હતા તે પત્ની પાસેથી ના મળે. પત્નીના કદાચ પગ દબાવવા પડે તે માટે. તે વખતે લાગે આ સંસાર અસાર છે.


એવું જ માતાપિતાનું પણ હોય છે. પુત્ર આગળ દાદાગીરી ધાકધમકી વાપરી હોય તે પુત્રવધૂ આગળ ના ચાલે ઘરમાંથી નીકળવાનો વખત આવી જાય. પત્ની આગળ જોહુકમી કરી સિરોટોનીન આનંદ મેળવીએ છીએ તે ઓફિસમાં બોસ આગળ ના મેળવાય. ઉલટાનો બોસ આપણને ધમકાવી આનંદ મેળવતો હોય છે. સુખ અર્પતા રસાયણો આપણે હમેશાં નોર્મલ વહ્યા કરે તેમ ઇચ્છતા હોઈએ છીએ પણ તેમ બને નહિ ત્યારે આ દુનિયાને શું થયું છે તેવું થાય છે. આ રસાયણો આપણી સર્વાઈવલ નીડ ને અનુકુળ કશું થાય  ત્યારે જ સ્ત્રવે છે તે આપણને ખબર હોતી નથી. સતત તમે સુખી રહી ના શકો સતત તમે દુઃખી પણ ના રહી શકો. આ ના સમજાય ત્યારે લોકો સંસાર છોડી ભાગી જતા હોય છે પણ કરોડો વર્ષથી ઉત્ક્રાંતિ પામેલું બ્રેન તો સાથે જ લઈ જતા હોય છે એટલે ત્યાં પાછો નવો સંસાર વસાવી લેતા હોય છે.


ફરી પ્રથમ બનવાની હોડ શરુ, ફરીથી જીતવું જરૂરી બની જાય છે.

----------

લેખક  પરિચય
રાઓલ ભૂપેન્દ્રસિંહ આર

વતન માણસા, જીલ્લો ગાંધીનગર. સ્કૂલ સુધી અભ્યાસ વિજાપુરમાં, બીકોમ કર્યું વડોદરા એમ એસ યુનિમાં. પિતાશ્રી વકીલ હતા. વાંચન શોખ વારસામાં એમના તરફથી મળ્યો. થોડા વર્ષ ખેતી પણ કરેલી પછી વડોદરા સ્થાયી. ૨૦૦૫મા ઈમિગ્રેશન ફાઈલ પર અમેરિકા. ૨૦૧૦મા બ્લોગ લખવાનું શરુ કરેલું. બ્લોગ ખુબ પ્રસિદ્ધ થયેલો ને છે. એમાંથી બે પુસ્તકો પણ પબ્લીશ થયા. ૧) કુરુક્ષેત્ર મારા વિચારોનું ૨) માનવમન એક ચક્રવ્યૂહ જેની પ્રસ્તાવના જય વસાવડાએ લખી છે. અંધશ્રદ્ધા વિરુદ્ધ, સામાજિક અને ધાર્મિક પાખંડો વિરુદ્ધ લખવાનું ચાલુ જ છે.

બ્લોગ- http://raolji.com/