Showing posts with label Guest Posts. Show all posts
Showing posts with label Guest Posts. Show all posts

Guest Post By Vyavasthit Lagharvaghar Amdavadi - સરકારી નિયમો મુજબનાં લગ્ન પ્રસંગો


સરકારી નિયમો મુજબનાં લગ્ન પ્રસંગો
-By 
Vyavasthit Lagharvaghar Amdavadi



સરકાર  લગ્ન પ્રસંગે ખોટો ખર્ચો અટકાવવા ઘણા નિયમો બનાવવાનું વિચારી રહી છે  જેમ કે જમણવાર ૪૦૦ થી ૫૦૦ માણસનો જ થઈ શકશે, લગ્ન પ્રસંગે પાંચ લાખથી વધુ ખર્ચો કરનારને ગરીબ ક્લ્યાણ ટેક્સ લાગશે, જમણવારમાં મેનુ પણ વધારી નહિ શકાય.

અમે લઈને આવ્યા છીએ સરકારી નિયમો પ્રમાણેનાં લગ્નપ્રસંગનાં વિસ્તુત નિયમો તથા તેના ફાયદાની સમગ્ર માહિતી.
 

(૧.) લગ્ન પ્રસંગે છપાતી કંકોત્રીમાં સહકુટુંબ સ્નેહીઓ સહિત લખી નહિ શકાય જો લખશો તો આગળ જતા લગ્નમાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ગણવામાં તકલીફ પડે. કંકોત્રીમાં નીચે મારા મામા/કાકાનાં લગ્નમાં જલુલ જલુલથી આવજો એવા ટહુકાની જગ્યાએ મ્યુચલ ફંડનાં માર્કેટ રિસ્કનાં નિયમોની જેમ સરકારી નિયમો છપાવવાના રહેશે જેથી લગ્નમાં આવનાર દરેકને નિયમની જાણ થાય અને કોઈ નિયમોનો ભંગ નાં કરે.

(૨.) કેટેરીગવાળાએ સંખ્યા પ્રમાણેજ પ્લેટ ગણીને મુકવી પડશે જેથી પાછળથી ડીશ અંગે કોઈ તકરાર ઉપસ્થિત થાય નહિ. દરેક હોલ તેમજ પાર્ટી પ્લોટનાં લગ્ન ગેટ પર સેન્સર તેમજ સી.સી.ટી.વી કેમેરા લગાડાશે જેથી ૪૦૦ થી ૫૦૦ માણસ જ લગ્નમાં ઉપસ્થિત હતા એની ગણતરી થઈ શકે. લગ્નમાં ઘૂસ મારનાર જો સી.સી.ટી.વીમાં પક્ડાશેતો તેમના ઘરે ઈ-મેમો આવશે જે મેમોની રકમ  મામેરા માં ગણાશે

(૩.) કુલ લગ્ન પ્રસંગનો ખર્ચો  પાંચ લાખ જ કરી શકાશે, જો લગ્નમાં આવેલા ચાંલ્લાની રકમ લગ્ન પ્રસંગનાં ખર્ચાની રકમ કરતા વધી જશે તો આ વધારાની રકમ પ્રસંગ વખતે થયેલો નફો ગણાશે અને તેના  પર
૩૦% ઇન્કમટેક્ષ લાગશે,

૩૦% ગરીબકલ્યાણ ટેક્ષ લાગશે,

૩૦% લગ્ન થયેલા વર -વધુ નું બાળક ૧૮ વર્ષનું ના થાય ત્યાં સુધી વગર વ્યાજે
સરકાર જોડે જમા રહેશે

૧૦% એજ્યુકેશન, સર્વિસ, કૃષિ-કલ્યાણ, સ્વચ્છ ભારત વગેરે વગેરે ટેક્સ લગાડાશે.

(૪.) ચાંલ્લાનાં કાઉન્ટર પર CA અથવા તો બેન્ક અધિકારી તરીકે નોકરી કરતા વ્યક્તિજ બેસાડી શકાશે. ચાંલ્લો લખાવતી વખતે મને નાં ઓળખ્યો કરીને ચાંલ્લો લખનાર નાં ટપલાદાવ કરી શકાશે નહિ, ૧૦૦ રૂપિયા આપી ૧૦૧ લખો એવું કહી શકાશે નહિ કારણકે પાછળથી બજેટ વખતે ક્યાંથી રૂપિયો આવ્યો અને ક્યા ગયો એ ગણવામાં તકલીફ થાય છે . 

(૫.) વરરાજાનાં ચંપલ ગાડીની અંદર સંતાડી શકાશે નહિ, વરરાજા પણ ૨૦ થી વધારે એવરેજ આપતી ગાડીમાં જ આવી શકશે. જાહેર નગર નિગમની બસમાં આવનાર વરરાજાને એ ફાયનાસિયલ વર્ષ માં ૧૦% ટેક્સ રાહત આપવામાં આવશે વરરાજાનાં ચંપલ ચોરી અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોધી શકાશે નહિ તેવી ભવ્ય છૂટ આ નિયમોમાં સરકાર દ્રારા  આપવામાં આવી છે ચંપલ ચોરી કરનાર સાળીઓ /સાળાઓ ને ગમે તેટલી મહેનત કરી હોય ૨૫૧ થી વધારે રકમ નું કવર આપી શકાશે નહિ .

(૬.) જમણવારનાં મેનુ અંગે અગાઉથી સરકારમાં સોગંદનામું કરવાનું રહેશે. સગા-સબંધીઓનાં કહેવાથી પાછળથી મેનુ બદલી શકાશે નહિ . એક પનીરની સબજી ગ્રીન ગ્રેવી/બ્રાઉન ગ્રેવી, એક સાદી સબજી જો પનીર સબ્જી ગ્રીનગ્રેવીમાં હશે તો સાદી સબ્જી ફરજીયાત બ્રાઉન ગ્રેવી રાખવી પડશે, અંગુરી બાસુંદીમાં અંગુરની સંખ્યા-  ઉધિયું રાખ્યું હોય તો તેમાં મુઠીયાની સંખ્યા  વગેરે જાહેર કરતુ  અલગથી ફોર્મ ભરવાનું રેહશે. 


(૭.) પ્રી-વેડીગ ફોટોશૂટ , એન્ગેજમેન્ટ ફોટો શૂટ , વગેરે વગેરે પ્રકારના ફોટોશૂટનાં ખર્ચાનો સમાવેશ પાંચ લાખની નિયત-મર્યાદામાં જ ગણવાનો રહેશે. કોઇપણ ફોટામાં સ્ત્રી કે પુરૂષ ૫૦૦ ગ્રામથી વધારેનું સોનું ધારણ કરી શકશે નહિ. રિસેપ્શનનાં ફોટામાં એક સાથે દસથી વધારે લોકો સ્ટેજ પર ચઢીને ફોટો પડાવી શકશે નહિ. 

(૮. ) ગોર મહારાજને પાંચસો રૂપિયા વધારે આપી લગ્ન વિધિ ઝડપથી પતાવવાની ઓફર કરતા વરરાજા સામે ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાશે . 

(૯.) ઉપરોક્ત નિયમો દરેક લગ્ન પ્રસંગનાં હોલ પર તેમજ લગ્ન ચોરા પર લગાવવાના રહેશે. સપ્તપદીનાં વચનો આપ્યા બાદ આ નિયમોનું પાલન કરાવવાનું પણ વિધિમાં ઉમેરવાનું રહેશે. મંગલાષ્ટક અને લગ્ન ગીતો જોડે આ નિયમનાં ફરફરિયાં પણ લગ્નપ્રસંગે હાજર સમગ્ર વ્યક્તિઓમાં વહેચવાના રહેશે. 

(૧૦.) ઉપરોક્ત બધા નિયમોનું પાલન કરીને થયેલા લગ્ન અંગે ત્રણ વર્ષનો લોક-ઇન પિરિયડ રહેશે એટલે ત્રણ વર્ષ સુધી છૂટાછેડા લઇ શકાશે નહિ ત્રણ વર્ષ પેહલા છુટા પડતા દંપતીએ લગ્નના ખર્ચનાં ૯% સાદા વ્યાજ સાથે સરકારને આપવાના રહેશે.

લી.(વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી)
 


Guest Post પ્રેમ – ખુદાના ઘરનું સરનામું ! By Abhishek Agravat



 પ્રેમ – ખુદાના ઘરનું સરનામું ! By Abhishek Agravat



કહેવાય છે કે આ જનરેશન પાસે સૌથી મોટો પ્રશ્ન રિલેશનશીપનો છે.  પ્યારને ઘડીભર બાજુએ કરીને લગ્નને કેન્દ્રમાં રાખીને ટૂંકી વાત કરીએ તો ધડાધડ છૂટાછેડા થવા માંડે એવો ઘાતક આ યુગ નથી પણ હા, સંબંધની મીઠાશની આવરદા ફટાફટ ઘટવા માંડે એવો સમયગાળો તો આ ચોક્કસ છે. માણસ એના પ્રિયજનથી કંટાળે એ સૌથી વધુ કાંટાળી લાગણી છે. સ્વજનોની આખી બિરાદરીને નજરઅંદાજ કરી ઉમળકાભેર અને ઝનૂનભેર પરણતાં બે લવબર્ડસ વધીને બે વર્ષમાં લવ-વધ કરવા માંડે છે. શા માટે ? પ્રેમ અગર ખુદ વિરહના શૂળના અનુભવ આપતો અહેસાસ છે તો પછી આપણે સતત જોઇએ છીએ એવા આ એકબીજાને શૂળીએ ચડાવી દેવા સુધી પહોંચતા લોકો શું કરી રહ્યાં છે ? આમાં પ્રેમ ક્યાં છે ? ન્યોછાવર થઇ જવું અગર મહોબ્બતનો મિજાજ છે તો શા માટે પ્રત્યેક લવસ્ટોરી એક મેરેજસ્ટોરી બનવાના મકસદથી જ આગળ વધે છે ? ફક્ત પ્રેમ ન થઇ શકે શું ? બેવજહ...બેમતલબનો....બેમિસાલ....ફક્ત પ્રેમ !  
      
મજાની અને એથી વિશેષ મુશ્કેલીની વાત એ છે કે અહીં સૌનો પ્રણય પરિણયના મુકામ સુધી પહોંચવા માટે પાંગરે છે. સંપર્કો થાય, મુલાકાતો ગોઠવાય, માદક સ્પર્શ થાય, આલિંગનોનો એખલાસ થાય,ચુંબનોના ચાઠાં ઉપસે અને એના રોમાંચ થાય,મીઠા વિવાદો,સુંવાળા મેસેજીસ, થોડા વેવલાંવેડાં અને વધુ વેવારિક થઇ છેવટે બંનેના ઘરમાં વાત રજૂ કરી કોઇપણ હિસાબે લગ્નગ્રંથિથી જોડાય જવું એ મોટાભાગની કહેવાતી પ્રેમકહાનીઓનો સેન્ટ્રલ થીમ છે. 

પ્રેમનો સાચો પરિચય જ ત્યારે થાય છે જ્યારે સંપર્ક અટકે છે. સહવાસ ક્યારેય પ્રિયજનના હોવાપણાંની કદર ન કરાવી શકે. હર્દયને એવી ભનક અનુભવાય કે હવે એનો ચહેરો જોવાની તકો પણ નહીવત છે ત્યારે ખરેખર વિશ્વભરના તમામ સુંદર ચહેરામાં પ્રિયજનનો ચહેરો મહેસૂસ થાય છે. માણસને દરેક આદત,વ્યસન, શોખ,કાર્ય,રિએક્શન,એક્શન અને ઇવન ફિક્શનમાં પણ એનો જ અહેસાસ અનુભવાય છે જે હવે સાથે નથી અને છતાં દૂર છે એવું સ્વીકારી પણ શકાતું નથી. પ્રેમ અહેસાસ છે,સાહેબ ! એને જીવવાનો હોય. એને જીરવવાનો હોય. એને જીલવાનો હોય. એને જકડી ન શકાય. પ્રેમનો માંડવો તનહાઇના ત્રિભુવનમાં રોપાતો હોય છે. અને એની સપ્તપદી સ્વયમ શામળા ગિરધારીના વરદ મુખેથી થાય છે. એક સાદી સમજ આપવાની કોશિશ કરુ..... તમે એવી કલ્પના કરી શકો છો કે એક સાદી સીધી વ્યક્તિને ચાહવાથી તમને ખુદાની બંદગી કબૂલ થયાની અનુભૂતિ થવા માંડે ! એક સામાન્ય છોકરીને આલિંગન કરતી વખતે થાય કે શરીરનું નિર્વાણ થઇ રહ્યું છે અને દેખાતી નથી પણ હયાત છે એવી ઇશ્વરીય ચેતનાનો સ્પર્શ થઇ રહ્યો છે ! એના હોઠ ચુમતી વખતે જાણે રોમ રોમમાં ક્રિષ્ન રાસ રમતો હોય એવા અદભૂત આનંદનો અહેસાસ થાય ! જો ના, તો પ્રેમની વાતો કરવી બરાબર છે....તમે હજુ પ્રેમને ઓળખી શક્યા નથી. અને જો હા, તો બાકી બધી લપ છોડો....તમે પ્રેમી છો. હા,તમે પ્રેમી છો. 

પરમ આહલાદિની શક્તિ તરફ મુખર કરતી સફરનું નામ પ્રેમ છે. પ્રેમ તળાવ નથી,પ્રેમ મહાસાગર છે. પ્રેમ કલ્પ નથી,કલ્પવૃક્ષ છે. પ્રેમ આપણા જ જેવી એક વ્યક્તિ તરફના અનુરાગથી શરૂ થઇને સમગ્ર વિશ્વ તરફ અનુગ્રહ કરતાં પરમતત્વના દિદાર કરવા બેકરાર કરતી આજીવન ચાલતી એક અવસ્થા છે. કરૂણતા એ છે કે આપણે ત્યાં પ્રેમની આવી વાતો લોકોને આધ્યાત્મિક લાગે છે. હમણાં કોઇની સુંવાળી કમ્મર,કાનના ઝુંમર કે સોળ વરસની ઉંમર પર કોઇ વાત કરે તો એ સ્વાભાવિક લાગે છે. હા, આવેગો પ્રેમના પ્રવાસનો અનિવાર્ય મુકામ છે. શરીરની ભૂખ સંતોષ્યા વિના મનની તરસ નહી છીપાય એવું તો રજનીશ પણ કહેતાં ગયા. પણ ત્યાં અટકી જવું એ બીજું કંઇપણ હોય શકે,પ્રેમ નથી. બેડરૂમમાં જઇ ત્વચાની આરાધના કરતો માણસ એવું વિચારતો જ નથી થયો કે ત્વચાની નીચે માંસ અને હાડકાના સ્તર છે અને એને પાર કરતાં એક મુલ્ક આવે છે જેને રૂહ કહે છે. રૂહ સાથે મોટાભાગના લોકોનો સંવાદ ક્યારેય થતો જ નથી અને આયુષ્ય પૂર્ણવિરામની ઘોષણા કરી દે છે. આપણે સૌ સતહી-ઉપરછલ્લું-ચામડી પરનું જીવીને જતાં રહીએ છીએ....એ અનુભવ લીધા વિના કે ઉમ્રના ૫૫ વર્ષ સુધી સેક્સ કર્યા પછી પણ ભૂખ તો કાયમ જ રહી તો આજીવન કર્યુ શું ? શરીર મંગલાચરણ છે....પ્રેમતત્વનો અસલ અનુભવ કરવા માટેનું !   

લગ્ન અને શારિરીક સુખ પ્રેમના મુકામો હોઇ શકે,મંજીલ નથી મને બસ આટલી સમજ છે. મહોબ્બત મને અતિશય ગમતો શબ્દ છે. અને મારી માન્યતામાં મને લાગે છે કે મહોબ્બત ખુદ એના અર્થમાં પ્રાર્થના છે. પ્રાર્થના પોતે એક વિશાળ અર્થ લઇને બેઠી છે. એને ગિલા-શિકવા, અપેક્ષા અને આક્ષેપોના ચોકઠાંમા રહેંસી ન નાંખો. અનુભવો....! જેને ચાહો છો એ વ્યક્તિના સાંનિધ્યને એ રીતે સંવારો કે જ્યારે તમે બંન્ને તમારા એકાંતમાં તલ્લીન હો ત્યારે તીર્થ રચાતું હોય. આલિંગન વનરાવનની રાસલીલાનું દર્પણ બને અને નખ અને દાંતના દસ્તાવેજો શિવ તાંડવના અવશેષો. જમાવટ એની એ જ છે...આવેગોની, બસ નઝરિયો બદલીને જીવવાની વાત છે.

મને લાગે છે આપણે બંન્ને આલિંગનમાં રમમાણ હોઇએ છીએ ત્યારે
આકાર લેતાં આપણા શરીરોની અણસાર ખુદાના ચહેરા જેવી રચાય છે ! 

Abhishek Agravat
  

જય હો!

જય હો!



"ज़िन्दगीमें आपका लास्ट परफॉर्मंस इम्पोर्टेन्ट है, पास्ट परफॉर्मंस नहीं।"
 
આ ન્યુયર પર, ભારતના દરેકે દરેકે નાગરિકે જીભ પર કોતરાવી રાખવા જેવું આ વાક્ય છે. ભારતના એટલે લખ્યું જે આપણી બહુ બધી એનર્જી ભૂતકાળની મહાનતાની ગાથાઓ ગાવામાં, સંસ્કૃતિના વગર સમજયે માત્ર ને માત્ર વખાણ કરવામાં, ન હોય એવી વાતોને ટ્વીસ્ટ કરીને ખોટા મહાનતાના મિથ્યાભીમાનમાં જ વેડફાઈ જાય છે. અને પછી વર્તમાનમાં કરવા માટે શુ હોય છે? બાબાજી કા ઠુલ્લુ ! જરા વિચારો, આ મહાન વારસો ક્યારે રચાયો હશે?! એ ભૂતકાળના લોકો ય આપણી જેમ એમના ભૂતકાળના વખાણ કર્યા કરીને વર્તમાનમાં ડફોળોની જેમ બેઠા રહ્યા હોત, તો આપણા પાસે એમની ગાથાઓ હોત? કૃષ્ણ રામાયણ સાંભળીને બેસી રહ્યા હતા? બેસી રહ્યા હોત તો એ કૃષ્ણ હોત?

"जो लोग अपने पास्टमें खो जाते है, वो राजेश खन्ना बनते है, जो लोग अपने लास्ट में खो जाते है, वो अमिताभ बच्चन बन जाते है।"

ચોટદાર વાક્યો અને ઉદાહરણો છે.

કોના છે? કોણે લખેલા છે?
આ એ માણસના વાક્યો છે જેના કારણે આ બ્લોગ રચાયો છે. WeJViansના હૃદયમાં, મધ્યે JV છે. જય વસાવડા.
યસ, જય વસાવડાના આ વાક્યો છે.

આ વાક્યો, જય વસાવડાની એ સ્પીચમાંથી છે, જે સ્પીચ આપ સહુ, જય વસાવડાની નવી યુ ટ્યુબ ચેનલ "Planet JV" પર સાંભળી શકશો. હા, નવી ઑફિશયલ યુ ટ્યુબ ચેનલ. ફાઇનલી, JV એ પોતાની સ્પિચીસ માટે, વિડિયોઝ માટે કેટલાય વાંચકોની વિનંતીઓ ધ્યાનમાં રાખી, કંઈક ઑફિશિયલ ઓનલાઈન શરૂ કર્યું છે. ચિયર્સ. અને એ લોન્ચ થઈ રહ્યું છે, આ બ્લોગ દ્વારા, WeJVians દ્વારા પ્રથમવાર! ડબલ ચિયર્સ! 

મુંબઈના સન્મુખાનંદ હોલ ખાતે 2012માં યોજાયેલા નેશનલ લેવલ સેમીનારમાંની આ સ્પીચ હિન્દીમાં છે. મોટિવેશનલ, ઇન્સ્પાયરિંગ  સ્પીચ છે. હવે, JV કેટલા સારા સ્પીકર છે, એમનાથી કેટલા લોકો ઈંસ્પાયર થયા છે, એ બધું અહીં લખવાની કોઈ જરૂર ખરી!? જરાય નહીં, પણ અહીં એક અલગ વાત રજુ કરવાની જરૂર લાગે છે. અત્યારે મોટિવેશન એક બિઝનેસ છે. કોઈપણ અલેલટપ્પુ, ચંપુ થોડીઘણી સારી માસ કમ્યુનિકેશન સ્કિલ્સથી મોટિવેશનલ સ્પીકર બની શકે છે. સલાહો આપવી એ દુનિયાનું સૌથી સહેલું કામ છે! અને હવે તો એ આપવાના પૈસા મળે છે! તો જય વસાવડા આવા બીજા ઠાલા સ્પીકરોથી અલગ કઈ રીતે છે? વેલ, બે જાતના સ્પીકર્સ હોય છે: એક સંન્યાસ લઈને કૃષ્ણકથા કરનારો બાબો અને બીજા ખુદ કૃષ્ણ! એક બિઝનેસની વાતો કરનારો ફાંકોડી અને બીજો ખુદ તૈયાર થયેલો બિઝનેસમેન! એક માત્ર ખાદીને ફોલો કરતો ફેઈક ગાંધીવાદી અને બીજા ખુદ ગાંધી! એક મોટિવેશનની માત્ર વાતો કરતા સ્પીકર્સ અને બીજા જેમની લાઈફ ખુદ એક મોટિવેશન હોય એવા લોકો! દલપતરામ લખી ગયા:

"પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.”

જય વસાવડા ઉપર કહ્યા એમાંથી બીજા ગ્રુપમાં આવે છે. એમની માત્ર સ્પીચ ઈંસ્પિરેશનલ નથી. એમની આખી લાઈફ ઈંસ્પિરેશનલ છે! એટલે જ એ માત્ર મોટિવેશનલ સ્પીકર નથી. એ માણસ લાઈફની ચૅલેન્જિસ સામે લડીને ઝઝૂમતો અને જીતતો માણસ છે! અનુભવો ઊંડાણ આપે છે. આ અનુભવે, જિંદગી ધાર પર જીવીને આવેલું ઊંડાણ છે એમનામાં. એટલે એ "ખાલી" મોટિવેશનલ સ્પીકર નથી. "લાઈફ કોચ" છે. સાંબેલું વગાડવાની ક્ષમતા રાખે છે. પોતાની ટર્મ્સ મુજબ જિંદગી જીવવાની હિંમત રાખે છે. એમના વિશે ન વાંચ્યું હોય એમણે જરા ખણખોદ કરીને વાંચવું. અને હવે, ઑફિશિયલ ચેનલ પરની આ સ્પીચમાંથી કેટલાક બાઇટ્સ:

"कहा जाता है कि हस्बैंड इज़ हेड ऑफ़ फेमिली। बट वाइफ़ इज़ नेक, धेट मूव्स ध हेड़।"

"सबसे पहला फ़िमेल साइकोलॉजिस्ट जो था वो था रावणका मामा मारीच।"

"महोब्बतमें जो फंडा लागू होता है, वही मार्केटिंगमें भी लागू होता है।"

"हम (बाज़ारमे) प्रोडक्ट खरीदने नहीं जाते, हम अपने प्रोब्लेम्सका सॉल्यूशन खरीदने जाते है।"

"अगर आपको महोब्बत करनी है तो आपको हिम्मतभी करनी होगी।"

"हमारी सबसे बड़ी प्रॉब्लम है डर...सबसे ज़्यादा लोग (दुनियामें) खटिया पर मरते है, बेड़ पर मरते है। लेकिन रातको हम चैनकी नींद वहीँ पर जाके सोते है...क्योंकि हम डरते नहीं उस वक्त।"

"जवाब तो गूगल के पास भी है, सवाल होना चाहिए अपने पास।"

"हम चाहे 75 लाख़की गाड़ीमें, 1 करोड़की गाड़ीमें, औड़ीमें, BMWमें जाए सेंटरपे, पर हमें अगर रास्ता मालूम नहीं है, तो एक वो फटा हुआ कपडा पहना हुआ, 12 सालका बच्चा कहेगा कि चलो मेरे पीछे चलो, मैं आगे जाके बताता हूं कि हॉल (जगह, सेंटर) कहाँ है... जो जानता है वो आगे चलता है और जो नहीं जानता उसे पीछे चलना पड़ेगा।"


આ બધી બાઇટ્સ ચાખીને આખે આખા થ્રી કોર્સની મજા માણવી હોય તો સાંભળો જ સાંભળો આખી સ્પીચ.
 
છેલ્લે એક વાત કહેવી છે, અહીં સ્પીચમાં JVએ એક વાત કહી છે: "यु केन इंस्पायर योरसेल्फ। क्यों हम अपेक्षा करते है कि कोई आके हमें सपने दिखाए और हम पूरे करे। हम खुद सपना देखे।"

આ જ વાત, હમણાં, સન ફાર્માસ્યુટિકલ્સના MD દિલીપ સંઘવીએ એક મિટિંગમાં કહેલી જ્યારે એક એમ્પ્લોયીએ એમ્પ્લોયી મોટિવેશન પ્રોગ્રામની વાત કહી. એમણે કહ્યું,
"I can not inspire you. You only have to inspire yourself." સન ફાર્મા, ભારતની સૌથી મોટી ફાર્મા કંપની છે.

Great men share thoughts !

અને છેલ્લે, આ રહી લિંક, જય વસાવડાની ઓફિશિયલ યુ ટ્યુબ ચેનલ, Planet JVની લિંક, WeJVians માટે ન્યુયર ગિફ્ટ:



~ બ્લોગ ટીમ WeJVians

Guest Post - સ્વજન સરખી ટ્રેન by Ankit Desai



સ્વજન સરખી ટ્રેન
by Ankit Desai


બાલ્કી સા’બની લેટેસ્ટ રીલિઝ ‘કી એન્ડ કા’માં અર્જુન કપુરને ટ્રેન બહુ પસંદ હોય છે. એક ડાયલોગમાં એ કરીનાને કહે છે, ‘મૂઝે ટ્રેન બહોત પસંદ હૈ…’ અને પછી કરીના સાથે એ સેટલ થાય ત્યારે પોતાના આખા ઘરમાં ટ્રેનમાં કે રેલવે સ્ટેશનો પર હોય એવું ઈન્ટિરિયર કરાવે. કેટલાક લોકોને આ બાબત અસ્વાસ્તવિક લાગી શકે, પણ ટ્રેન પ્રત્યેનો લગાવ એટલે શું? એની તો એને જ ખબર હોય, જે ટ્રેનમાં ડેઈલી અપડાઉન કરતા હોય કે દિવસના અમુક કલાક ટ્રેનમાં પસાર કરતા હોય!

એ ફિલ્મ જોયેલી ત્યારથી ટ્રેન પ્રત્યેના વળગણ વિશે લખવાની મને ઈચ્છા હતી, કારણ કે ટ્રેન સાથેનો મારો સંબંધ હવે એક દાયકાનો થવાનો એટલે સ્વાભાવિક ટ્રેન સાથે મને ભાવનાત્મક લગાવ હોવાનો. પરંતુ એક યા અન્ય કારણોસર લખી શકાયું નહીં અને પછી વાત સમૂળગી ભૂલી ગયો. ટ્રેન સાથે નાતો બંધાયેલો છેક 2007માં… ગ્રેજ્યુએશન કર્યું તો ટ્રેનમાં ચાર વર્ષ વાપી ટુ વલસાડનું અપડાઉન કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સુરત ભણવાનું થયું તો દર વિકેન્ડમાં ઘરે જવા કે ઉઘડતા અઠવાડિયે ઘરેથી સુરત આવવા ટ્રેનનો સહારો લીધો અને 2013થી પત્રકાર તરીકે નોકરી શરૂ કરી તો આજ દિન સુધી ટ્રેનમાં ડેઈલી વાપી ટુ સુરતનું અપડાઉન.

કોઈ કહેશે એવા તો હજારો લોકો હશે, જે દાયકાઓથી ટ્રેનોમાં અપડાઉન કરે છે, એમાં લગાવ શેનો થઈ જાય? પરંતુ મેં ટ્રેન સાથેના મારા સંબંધને કંઈક અલગ દૃષ્ટિકોણથી જોયો છે. એવાઓને હું પૂછીશ, જો ઘર વહાલું હોય તો ટ્રેમ કેમ નહીં? આખરે એમાં પસાર કરેલા કલાકોનો સરવાળો કરવા બેસીએ તો ખ્યાલ આવે કે, અત્યાર સુધીના જીવનના ત્રણ-ચાર મહિના જેટલો સમય તો ટ્રેનમાં જ પસાર થયો છે! અને એ કારણે જ કદાચ ટ્રેન જેવી ટ્રેન મને કોઈ સ્વજન જેવી લાગી છે.

ટ્રેનમાં મેં કેટલા પુસ્તકો વાંચ્યા હશે એનો મારી પાસે હિસાબ નથી. કૉલેજ ટાઈમથી મારી બેગમાં એકથી વધુ પુસ્તકો રહે અને વજન વધી જવા છતાં પુસ્તકો સાથે રાખવાનું કારણ એ જ કે, ટ્રેનમાં સમય મળશે તો વાંચી શકાશે! ટ્રેનમાં મેં જેટલી વિવિધતાના પુસ્તકો વાંચ્યા છે એટલી વિવિધતા વાંચવાની પદ્ધતિઓની બાબતે પણ રહી છે. ક્યારેક જગ્યા મળી ગઈ હોય તો રજવાડી ઠાઠથી હાથમાં ચ્હાનો કપ લઈને બારીએ બેઠાં બેઠાં તો વાંચ્યું જ છે, પણ સીટની ઉપરના પાટિયે, જ્યાં ટૂંટિયું વાળીને બેસવાના પણ ઠેકાણા નહીં હોય ત્યાંય વાંચ્યું છે. હકડેઠઠ ભીડમાં ઊભા ઊભા પણ વાંચ્યું છે અને ક્યારેક દરવાજે બેસીને પણ વાંચ્યું છે. ટ્રેનની યાત્રાઓએ મને વિચારોની યાત્રાઓની યાત્રા પણ બક્ષી છે, જે વિચારો ભીડ અને ગરમીમાંથી કોઇક બીજી જગ્યાએ લઈ જઈને કપરી વાસ્તવિક્તાથી મને અળગો કરીને સુખ આપે છે. 



ટ્રેનમાં હોઉં ત્યારે મોટેભાગે મેં જીવનના સારા-નરસા સમાચારો સાંભળ્યાં છે અને મારી ખુશી કે દુઃખ ટ્રેનમાં વહ્યાં છે, વ્યક્ત થયાં છે. જીવનની સૌથી પ્રિય વ્યક્તિ એવી મારી બા(દાદી)ના અવસાનના સમાચારનો ફોન આવેલો ત્યારે હું ટ્રેનમાં હતો અને આંખોમાં આંસુ સાથે બારીના સળિયે માથું ઢાળી દીધેલું. સળિયાની નક્કરતામાં પણ એ વખતે બાના હાથની મુલાયમતા અનુભવાયેલી, જે હાથ પછી ક્યારેય માથે ફરવાનો નહોતો! મારાથીય પાંચેક વર્ષ નાના કઝિનનું અકસ્માતમાં મોત થયેલું એના સમાચાર પણ ટ્રેનમાં મળેલા, જે મુસાફરી દરમિયાન હું ભીડમાં ઊભો હતો અને સમાચાર સાંભળતા જ ફસડાઈ પડેલો. ભીડમાંના લોકોએ મને ઊભો કરીને પાણી આપેલું. એ અજાણ્યા ચહેરા સ્વજનો નહીં કહી શકાય?

ટ્રેનની નિયમિત મુસાફરીએ જો મને સૌથી મહત્ત્વની ત્રણ બાબતો શીખવી હોય તો એ કે, આપણા મૂળિયાં છોડવા પણ નહીં અને ભૂલવા પણ નહીં! બીજી વાત એ કે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આશા નહીં ખોવી અને નિરાશ નહીં થવું. અને ત્રીજી વાત એ કે, સંજોગોની સામે હંમેશાં લડતા રહેવું. છેલ્લા નવ વર્ષથી હું ટ્રેનમાં રોજ એવા ચહેરા- એવી આંખોથી રૂબરૂ થાઉં છું, જે ચહેરાઓ કાળી મજૂરી કે તોતિંગ મુશ્કેલીઓ સામે લડીને કાળા, નિસ્તેજ કે કરચલી વાળા જરૂર થયાં હશે, પણ એ આંખોની ખુમારી, એની અંદરની આશા હંમેશાં અકબંધ રહી છે. એક બે ઉદાહરણો આપું તો ટ્રેનમાં મેં એવા લોકોને જોયા છે, જેઓ ચાર-પાંચ હજાર રુપરડીની કમાણી માટે સીત્તેર-એંસી-સો કિલોમીટરની મુસાફરી કરે છે. ઘર ચલાવવાનું તો ઠીક રાસન-પાણી પણ જેમતેમ અપાવી શકતી એ કમાણી માટે તેઓ માત્ર ઉપરી કર્મચારીની ગાળો, નાનાં-મોટા અપમાનો કે કમરતોડ મજૂરી જ નથી કરતા પરંતુ ટ્રેનની રોજની ભીડ, યાતનાઓ, અન્ય મુસાફરો સાથે નાની-મોટી તકરારો પણ વેઠે છે. પરંતુ એ આંખોને મેં જીવન પ્રત્યે ફરિયાદ કરતી નથી જોઈ. એ તેજસ્વી આંખો હંમેશાં એમની મસ્તીમાં રહી છે અને આવતી કાલની પરવા કર્યા વિના જીવતી રહી છે.

એમને જોઉં ત્યારે મને હંમેશાં વિચાર આવે કે, જે લોકો દિવસમાં છાપું પણ ઠીકથી નથી વાંચતા એ લોકોની આશા કેમ આટલી જીવંત છે અને એવા કારણો હશે, જે કારણો એમનો જીવનરસ ક્યારેય સુકાવા નથી દેતાં? બીજી તરફ આપણે એમના કરતા બહેતર સગવડો યુક્ત જીવન જીવીએ છીએ, છતાં નાની નાની વાતોએ ફિલોસોફી અને પ્રેરણાત્મક વાંચનના સ્ટીરોઈડ્સ લેવા પડે છે! તો અભાગીયા કોણ આપણે કે એ લોકો?

ટ્રેન જ્યારે આગળ વધતી હોય ત્યારે એના ડબ્બાની અંદર જેટલી વાર્તાઓ હોય એટલી જ વાર્તાઓ ડબ્બાની આજુબાજુ પથરાયેલા વિસ્તારોમાં ધબકતી હોય છે. વિવિધ શહેરોમાંથી પસાર થતી વખતે આજુબાજુ પથરાયેલી ઝૂંપડપટ્ટીઓમાં વસતા, પટરીની આસપાસ જીવતા એ લોકો કોણ જાણે કેટલીય વાર્તાઓ પોતાની અંદર ધરબીને બેઠાં હશે? સુરતથી શરૂ થતી ટ્રેન છેક ઉઘના સુધી ધીમી ગતિએ પસાર થાય અને એ દરમિયાન ડબ્બાની બહાર પથરાયેલું જીવન જોવા મળે ત્યારે દિલ પર અનેક ડામ પડે. એમ થાય બહારથી આ જીવન આટલું કદરૂપું છે તો હજુ થોડાં અંદર ઉતરીશું તો કોણ જાણે કેટલીય ગેબી વાતો જાણવા મળશે?

પટરીને લગોલગ રમતાં કે મોઢાંમાં કોઈકનો ત્યાજેલો ખોરાક મૂકતા નગ્ન બાળકોને જોઉં ત્યારે હંમેશાં એક જ પ્રશ્ન થયો છે મને કે, કોની નાગાઈ વધુ ભયાનક? આ બાળકોની કે ખોરાક, આરોગ્ય, રહેઠાણ કે શિક્ષણ જેવા એમના પ્રાથમિક હકો પર તરાપ મારી બેઠેલાં મૂડીવાદીઓની, રીઢા સત્તાધિશોની કે સમાનતા અને સમાજવાદની વાતો કરતા આપણા બધાની? સત્તાધિશો જ્યારે જ્યારે એમના ભાષણોમાં ‘મેરે દેશ કે એકસો પચીસ કરોડ નાગરિકો…’નો વારંવાર ઉલ્લે કરે છે ત્યારે દેશભરમાં રેલવેની પટરીની આજુબાજુ પથરાયેલા લોકોનો એમાં સમાવેશ થતો હશે ખરો? એ રીતે જોવા જઈએ ટ્રેને મને બેચેનીની પણ ભેટ આપી છે, જે બેચેનીમાંથી પલાયન સાધવા સિવાય મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી.

પટરી પરના આવા જ એક જીવન સાથે મારે થોડા દિવસો પહેલા સીધો સામનો થયેલો. આ જન્માષ્ટમીની આગલી સાંજે ભીડને કારણે હું ટ્રેનના દરવાજે બેઠો. મને એ વાતનો ખ્યાલ હતો કે, ટ્રેન સુરતથી ઉઘના સુધી ધીમી ચાલે છે અને એ દરમિયાન પટરીની બંને તરફ ઊભેલા ગરીબ યુવાનો એમનો હાથ સાફ કરતા હોય છે. ટ્રેન ચાલતી હોય ત્યારે પટરીની બંને તરફ ઊભેલા યુવાનો દૂરથી એ બાબતનું ધ્યાન રાખતા હોય છે કે, દરવાજે બેઠેલા માણસના હાથમાં મોબાઈલ છે કે નહીં? અને જો મોબાઈલ હોય તો જેવો ડબ્બો પોતાની નજીક આવે કે, હાથમાં રાખેલી લાકડી દરવાજે બેઠેલા મુસાફરના હાથ પર ફટકારે અને જો એમનું નસીબ સારું હોય તો ગભરાયેલા મુસાફરના હાથમાંનો મોબાઈલ છટકીને નીચે પડે, જેને ટ્રેન પસાર થઈ જાય પછી તેઓ ઉંચકી લે અને ચોરબજારમાં જઈને વેચી આવે!

ટ્રેનની બારીએ બેઠાં બેઠાં મેં પોતે આવા અનેક કિસ્સા જોયાં છે અને ઘણી વાર દરવાજે બેઠેલા માણસોને ચેતવ્યા પણ છે. સાતમના દિવસે ટ્રેન ધીમી હતી એ સમયે મારા પર એક ફોન આવ્યો અને ફોનની અગત્યતા જોઈને મેં ફોન રિસીવ કર્યો. હજુ થોડી જ વાત થઈ હશે ત્યાં મારા હાથ પર જ બહારથી ફટકો પડ્યો અને મારો સ્માર્ટફોન ધબ દઈને નીચે પડ્યો અને હું મૂર્ખની જેમ પટરી પરનો મારો ફોન, ફટકો મારનારા પેલા ચહેરાઓને જોતો રહ્યો! લગભગ બેએક સેકન્ડ મને ગુસ્સો આવ્યો હશે, ત્યાં ફરી મનમાં એ જ સવાલ ઉઠ્યો કે, જેણે લાકડી ફટકારી એના પેટ પર કુદરત રોજ કેવી મોટી લાકડી ફટકારતો રહેતો હશે કે એણે પેટ ભરવા છેક આવું કામ કરવા પડતું હશે? કોણ જાણે કેમ ત્રીજી સેકન્ડે મારો ગુસ્સો ઓગળી ગયો અને પટરીની આસપાસ વસતા એ લોકો પ્રત્યેની મારી સહાનુભૂતિ અકબંધ રહી. ઈશ્વરની મહેરબાની કે એણે મને આ મતિ સૂઝાડી નહીંતર હુંય બધાની જેમ એ અભાગીયાઓને ચોર, લૂંટારા, કમજાત, ભીખારી અને કોણ જાણે કેટલીય ગાળોથી નવાજતે અને મને એમના પ્રત્યે હંમેશાં નાહકની ઘૃણા રહેતે!

ટ્રેને મને અનેક સંબંધોની ભેટ પણ આપી છે, જે સંબંધોની લાક્ષણિકતા સામાન્ય સંબંધો કરતા ઘણી વિશિષ્ટ છે! એવા કેટલાય સંબંધો છે જેમાં વ્યક્તિનું નામ પણ નહીં જાણતા હોઈએ, પણ એમને રોજની એક સ્માઈલ નિયમિત આપવાનું બને છે. એવા કેટલાય સંબંધો છે, જેઓ આગલા સ્ટેશનથી મારે માટે જગ્યા લઈને આવે છે, તો કેટલાક સંબંધો માટે હું જગ્યા રોકું છું. આવા સંબંધોનું નામ અને શહેર કે એનું કામ કદાચ જાણતા હોઈએ, પણ એ સિવાય એના ભાગ્ય કે એના જીવન વિશે કશું જ ખબર નથી હોતું. ગતંવ્ય સ્ટેશને ઉતરી જવાની સાથે એ સંબંધ સાથેનો નાતો બીજા દિવસની સવાર સુધી સ્થગિત થઈ જાય છે, જે બીજા દિવસે ફરી અડધા કલાક કે કલાક માટે ધબકે અને ફરી નવી સવાર સુધી સ્થગિત થઈ જાય!

ક્યારેક એવુંય બને છે કે, જે ચહેરાઓ સાથે સ્માઈલ કે જગ્યા રોકવાનો સંબંધ હતો એ ચહેરા કોઈક દિવસે સાંજની ટ્રેન પકડવાની ઉતાવળમાં ક્યાંક અકસ્માતમાં અવસાન પામે અને સવારે જીવતો નીકળેલો માણસ સાંજે મડદું થઈને ઘરે પહોંચે! એટલે જ જે ટ્રેન અમારા માટે લાઈફલાઈન છે એ ટ્રેન અમારી લાઈફ છીનવી પણ શકે છે એ વાતના અહેસાસ સાથે મારા જેવા કેટલાય ચહેરા અપડાઉન કરતા રહે છે.

આ ઉપરાંત ટ્રેનને ચાહવાના, એની સાથેની મારી આત્મીયતાના અનેક ઉદાહરણો આપી શકું છું, પરંતુ લેખની લંબાઈ જોતા તમારા પર ત્રાસ ગુજારવાની ઈચ્છા નથી. પણ કનક્લુઝન રૂપે જો કંઈ કહેવું હોય તો એટલું જરૂર કહી શકાય કે, ગયા જન્મમાં હું જરૂર ટ્રેનમાં બેસવાનો રહી ગયો હોઈશ અને ટ્રેનમાં બેસવા ખૂબ ઝૂર્યો હોઈશ. તો જ આ જન્મે નિયતિએ ટ્રેન સાથે એક દાયકાનો સંબંધ જોડી આપ્યો. આ નાતો એટલો ઉત્કટ છે કે, ત્રણેક વર્ષ પહેલા નવા ઘરમાં શિફ્ટ થયો તો એ ઘરના ત્રણ રૂમની બારીઓ રેલની પટરીઓ સામે પડે છે, જ્યાંથી ટ્રેન પસાર થાય ત્યારે ઘરે આવતા અનેક મહેમાનોએ ફરિયાદ કરી છે કે, ‘યાર આટલો બધો ઘોંઘાટ સહન કઈ રીતે કરો છો?’

જોકે એ મહેમાનોને મેં ક્યારેય નથી કહ્યું કે, આ બારીઓને લગોલગ બેસવા માટે મેં આરસની પાયરી એટલે કરાવી છે કે, સવારની પહેલી ચ્હા કે રવિવારની સાંજની નિરાંતની ચ્હા આ પાયરી પર બેસીને પી શકાય અને સામેથી પસાર થતી ટ્રેનને માણી શકાય. સાચું કહું છું, ટ્રેનનો અવાજ મને હંમેશાં રહેમાનના સંગીત જેવો પોતીકો લાગ્યો છે…!
- Ankit Desai

--------------

અંકિત દેસાઈ વિશે એમના જ શબ્દો માં - 

હું માણસ છું એ મારી સૌથી પહેલી ઓળખાણ. પરંતુ જન્મ પછી સૌથી પહેલા મને ‘દેસાઈ’નું લેબલ લાગ્યું અને પછી અગિયારમાં દિવસે ‘અંકિત’ નામ મળ્યું. એટલે ત્યારથી સરકારી ચોપડે, સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં અને ઓળખીતા પાળખીતાઓમાં હું અંકિત દેસાઈ તરીકે ઓળખાઉં છું. જોકે હું અંકિત દેસાઈ નથી જ, આ તો બીજાઓ દ્વારા મને પૂછ્યાં વિના અપાયેલી મારી ઓળખ છે. બાકી હું કોણ છું એની શોધ હજુ ચાલું જ છે. પત્રકારત્વમાં મને પહેલાથી જ ઘણો રસ હતો એટલે મેં માસકોમ્યુનિકેશન કર્યું અને સુરતથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ગાર્ડિયન’માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી અને હવે 'khabarchhe.com'માં એક્ઝિક્યુટિવ એડિટરની જવાબદારીઓ નિભાવું છું. મૂળે આપણે મળતાવડા સ્વભાવના પરંતુ સતત લોકોની સાથે હરતાં ફરતાં રહેવું પણ આપણને પસંદ નથી. દિવસમાં થોડાં કપ ચ્હા અને ગમતા પુસ્તકો મળી રહે એટલે બંદા ખુશ, બીજી આ બંદાની બહુ ખ્વાહિશ નથી!

Guest Post : હવે પહેલા જેવી મઝા નથી રહી - અધીર અમદાવાદી


હવે પહેલા જેવી મઝા નથી રહી - અધીર અમદાવાદી

“હવે જેલના ભજીયામાં પહેલા જેવી મઝા નથી રહી”. 

અમદાવાદમાં રહેતા હશે એમને ખબર હશે કે આરટીઓ પાસે જેલના કેદીઓ દ્વારા બનાવેલ વસ્તુઓનું વિક્રય કેન્દ્ર છે અને ખાસ કરીને ત્યાના ગોટા-ભજીયા ખુબ વખણાય છે. પરંતુ અમે જેલના આ ભજીયાને વખાણ્યા એ એમનાથી ખમી શકાયું નહીં કે ગમેતેમ પણ એમણે ઉપર મુજબ લાગણી વ્યક્ત કરી.
અમે પૂછ્યું: ‘કેમ તમને શું ફેરફાર લાગ્યો?’
‘જે ફેરફાર હોય એ, પણ પહેલા જેવા નથી બનતા એ હકીકત છે’
‘પણ એનું કોઈ કારણ હશે ને?’
‘કારણ તો હોય જ ને, એમાં બનાવનાર કેદીઓ કંઈ આજીવન કેદવાળા થોડા હોય કે એકનો એક હાથ રહે?’
‘પણ તો આટલા વરસોથી બદલાતું જ હશે ને, તોયે ગમે તે સમયે આવો, લાઈન લાગેલી હોય છે’.
‘લાઈન લાગે એટલે ભજીયા સારા એવું થોડું છે, એમ તો મુંબઈની ચાલ સિસ્ટમ છે ત્યાં સંડાસમાંય લાઈન લાગે છે, તે સંડાસ સારું થઇ ગયું?’ વડીલે છેલ્લી કક્ષાની દલીલ કરી.
‘ધારો કે લાઈન એ પ્રમાણ નથી, પણ અમારા જેવાને તો ભજીયા સારા જ લાગે છે’
‘એનું કારણ છે કે તમને સારા શું એ ખબર નથી’
‘તો તમે કહો સારા એટલે કેવા?’
‘એવું વર્ણન ન થાય, તાજમહાલ જોવાનો હોય, એના વર્ણનથી ખબર ન પડે કે તાજમહાલ કેવો છે’
--
 ગાંઠીયા તો અસલ સૌરાષ્ટ્રના જ. ગમે તે ગામમાં જાવ, એકાદો તો અસલ ગાંઠીયા બનાવનાર તમને મળી જ આવે, શું?’
‘એટલે અમદાવાદમાં આટલી જગ્યાએ ગાંઠીયા મળે છે એ બધાં નાપાસ એમ?’
‘એમ જ સમજો, આ તો અટાણે ખાવાની ટેવ પડી એટલે ખાવા પડે છે, શું?’. એમણે ઉપકાર કરતા હોય તેવા ભાવ સાથે કહ્યું.
‘પણ અમદાવાદમાં ગાંઠીયા બનાવનારા અને વેચનારા કાઠીયાવાડથી આવ્યા છે, અને એવું એમની દુકાનમાં લખે પણ છે’
‘ગમે તે હોય, કદાચ ત્યાના ‘બી’ ક્લાસ કારીગરો અહીં એક્સપોર્ટ કરતાં હોય, શું?’
‘પણ એવું તો શું વધારાનું છે ત્યાના ગાંઠીયામાં, અહીં પણ ચણાના લોટમાં બને છે અને સિંગતેલમાં તળે છે. અને કપડા ધોવાનો પાવડર કદાચ બીજો નાખતા હોય એવું બને’ અમે તપાવવાની યથાશક્તિ કોશિશ કરી.
‘અરે, અહી સંભારો, ચટણી કંઈ મઝા નો આવે, શું?’
‘અરે કાચા પપૈયાના છીણમાં મરચું નાખવાનું બીજું શું, એમાં સૌરાષ્ટ્ર હોય કે અમદાવાદ પપૈયા અને એ પણ પાછાં કાચા, એના ટેસ્ટમાં શું ધૂળ ફેર પડે?’
‘તોયે ફેર પડે છે, શું?’
‘શું ફેર પડે છે?’
‘એ તો ત્યાના ગાંઠીયા ખાધા હોય એને ખબર પડે, કોઈએ કહ્યું છે કે ગાંઠીયા એ ચણાના લોટમાં લખેલી કવિતા છે, શું?’
‘સારું ત્યારે તમે કવિ સંમેલન ચલાવો, અમારે કોઈના ગાંઠિયાની નકલ નથી કરવી એટલે જ અમે ફાફડા અને પાપડીની શોધ કરી છે’
--
રોજ અમારી આજુબાજુ કોઈનું કોઈ કચકચ કરતુ મળે છે કે :
‘દિવાળીમાં હવે પહેલા જેવી મઝા નથી રહી’
‘હવે ખાડાના દાલવડા પહેલા જેવા નથી રહ્યા’
‘પુરુષોત્તમભાઈને અમે જે સાંભળ્યા એ તમે સાંભળ્યા જ નથી’
‘આઈસ્ક્રીમ? હવે તો એમાં ખાલી ફીણ આવે છે’
‘કાંકરિયા? ગેટ કરી નાખ્યા પછી પહેલા જેવી મઝા નથી રહી’
‘નવી ફિલ્મોમાં હવે જૂની ફિલ્મો જેવી મઝા નથી રહી. સ્ટોરી જેવું કશું હોતું જ નથી’.
‘વિરાટ કોહલી સારું રમે છે, પણ તેંદુલકર જેવો ગ્રેસ નથી એનામાં’.
--
અત્યારે યુવાનો પેક નુડલ્સ અને બનમાં બટર નાખીને ખાય છે, પણ આ મસ્કા બન કાલની મહાન આઈટમ બની જશે. ભવિષ્યમાં કોઈ એમ પણ કહેશે કે હવે પહેલાના જેવા બન પણ નથી રહ્યા અને પહેલાના જેવા બટર પણ. બધું આર્ટીફીશીયલ છે. ખબર નહીં સંતો, મોટીવેશનલ સ્પીકર્સથી માંડીને કેટલાય લોકો દિવસ રાત જ્ઞાન વહેંચે છે પણ હજુ માણસ કાલ છોડીને આજમાં જીવી નથી શકતો. રાજકોટમાં કેવી ચા મળે છે, એની વાત કરતાં ગળગળો થઈ ગયેલ નવયુવાન અમદાવાદની કટિંગ ચા, કે જેને લોકો હોંશે હોંશે પીવે છે, તેની મઝા નથી લઇ શકતો. આવતીકાલે આજનો યુવાન વડીલ થશે એટલે આજે જે વાતોમાં વડીલોને મઝા નથી આવતી તેવી જ કોઈ વાતને ઘરડો થતા પોતાના બાળકો આગળ મહાન બતાવશે.
--
સંત અધીરેશ્વરની અજ્ઞાનવાણી
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ એને ડેટોલ યાદ આવે તો સમજજો કે એ માણસ  પ્રેક્ટીકલ છે.  

- Adhir Amdavadi


About Writer


Dr. Devanshu Pandit, professor in CEPT university is also known as Adhir Amdavadi. He is currently writing a humour column in Times of India Group Gujarati newspaper Navgujarat samay. The title of his column is Cutting with Adhir Badhir Amdavadi. He started writing when in college, but formally he was invited to write for Mumbai Samachar, Asia's oldest newspaper in 2010, column name "Lat ni lat ane vat ni vat". It continued for five years. He enjoys emense popularity among youth on social media. 

In 2016 he published his first gujarati humour book, Cheeze Dhebra, which has got overwhelming response from Gujarati readers.

Blog www.adhir-amdavadi.com અધીર અમદાવાદીના હાસ્યલેખ ||
e-mail: devanshu@cept.ac.in  devanshupandit@gmail.com (personal)

જીતવું જરૂરી નથી ? - Guest Post by Bhupendrasinh Raol


જીતવું જરૂરી નથી ? - રાઓલ ભૂપેન્દ્રસિંહ આર



આપણે ટીવીમાં સારેગામા કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ કે ઇન્ડિયન આઇડોલ જેવા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ જોતા હોઈએ છીએ ત્યારે નોંધ્યું હશે કે કે કોઈ સ્પર્ધક બહાર ફેંકાઈ જાય ત્યારે ત્યાં બેઠેલા જજ કે પધારેલા વિશેષજ્ઞ મહેમાન પેલા રડતા સ્પર્ધકને કહેતા હોય છે કે જીતવું જરૂરી નથી ભાગ લીધો અને આટલે પહોંચ્યા તે મહત્વનું છે. એમ કરીને આશ્વાસન આપતા હોય છે. બહુ વખત પહેલા હું આવો એક નાના બાળકોનો પ્રોગ્રામ જોતો હતો. લીટલ ચેમ્પ કરીને આ પ્રોગ્રામમાં મહેમાન તરીકે સંગીતનો ‘સ’ જાણતા ના હોય એવા એક ફેમસ બાબા પધારેલા. વિરોધાભાસ જુઓ કે જીતવું જરૂરી નથી એવી સુફિયાણી સલાહ આપી પછી એમની વાત કહેતા બોલ્યા કે નાનપણથી વિચારેલું કે એકવાર જીંદગીમાં પ્રથમ આવવું છે. પ્રથમ આવવું મતલબ ક્યાંક ને ક્યાંક તો લડાઈમાં જીતવું છે અને વાનરો તે ૫૦૦ લાખ વરસથી કરી રહ્યા છે. 

નેચરલ સિલેક્શને આપણું બ્રેન જ એવી રીતે બનાવેલું છે કે જ્યારે આપણે પ્રથમ આવીએ ત્યારે ખુશી કે આનંદ ગિફ્ટ રૂપે મળે છે. મતલબ પ્રથમ આવીએ કે કોઈ જીત મેળવીએ કે કોઈના ઉપર હાવી થઇ જઈએ અંગ્રેજીમાં કહું તો ડોમિનન્ટ ફિલ કરીએ ત્યારે બ્રેનમાં સિરોટોનીન નામનું ન્યુરોકેમિકલ સ્ત્રવે છે જે ખુશીની અનુભૂતિ કરાવતું હોય છે. ૧૯૮૦મા આ વાત શોધાઈ વૈજ્ઞાનિકો દ્વારા, જે હજુ સભ્ય સમાજમાં જોઈએ તેવી પ્રચલિત નથી થઈ. ભારતમાં તો માનવી જ મૂશ્કેલ છે.

આ કુદરતી હરીફાઈ કુદરતનું જલદી ન સમજાય તેવું ગરમ ગરમ ધૂમ્મસ છે. એની પાછળનો હેતુ તો સારો જ હશે. હમેશાં સામાજિક આપખુદી social dominance ઈચ્છતા બ્રેનને આપણે કાબુમાં રાખવું એક બહુ મોટી ચેલેન્જ છે. કોઈ ધાર્મિક, અધ્યાત્મિક પ્રવચનો, સલાહ, સૂચનો, ઉપદેશો અહીં કામ લાગતા નથી. અનાસક્ત યોગ અને ગીતાના પ્રવચનો ઠોકી ઠોકી કોઈ મહાત્મા પોતે જ એ લાઈનમાં પ્રથમ બની ધનના ઢગલા પર બેસી જતો હોય છે.


જીતવું જરૂરી નથી, મહત્વાકાંક્ષા સારી નહિ, અહંકાર નહિ સારો, બધા પાપનું મૂળ જ તે છે, વગેરે વગેરે ઉપદેશો આપનારાઓની મહત્વાકાંક્ષા બહુ મોટી હોય છે. આવા ઉપદેશો આપી તેઓ એક જાતનો માર્ગ ચોખ્ખો કરતા હોય છે કે અમને એકલા દોડવા દો, અમારા ઉપદેશ સાંભળી જેટલાં હરીફો ઓછા થઈ જાય તેટલું સારું..
જીતવું જરૂરી નથી ?

એટલે નંબર વન બનવાના કુદરતી આવેગો એ અગવડ ભરેલું સત્ય છે. એને સમજવાથી એક તો વ્યર્થ સંઘર્ષથી દૂર રહી શકાય અને વધુ સારી સિરોટોનીન લાગણી અનુભવી શકાય. લાખો વર્ષથી વારસામાં મળેલી ન્યુરોકેમિસ્ટ્રીને અવગણવાથી કોઈ ફાયદો નથી. 

આપણે બીજી વ્યક્તિમાં આ પ્રથમ બનવાનો કે જીતવાનો કુદરતી આવેગ છે તેની હસી ઉડાવી મજાક કરીશું. પણ આપણે પોતે તો શરીફ હોઈએ નીતિવાન હોઈએ તેમ એ આવેગ આપણામાં છે જ નહિ તેવું માનીશું અથવા એને રેશનલાઈઝ કરીશું. કોઈ વાજબી કારણ ખોળી કાઢીશું. હવે આવું સતત કરવામાં ચીડ ગુસ્સો અને રોષનો જાતે જ ભોગ બની જવાના. બીજી તકલીફ એ થાય કે આ કુદરતી આગ્રહપૂર્વકની ક્રિયાને યોગ્ય રસ્તો ના મળે તો સિરોટોનીન સ્રાવ સાવ ઘટી જવાને કારણે અંદર ને અંદર ગૂંગળાઈ જવાનું થાય. સાથે સાથે નૈતિક રીતે મહાન છીએ તેવું બતાવવા કોઈ પણ કિંમતે સંઘર્ષ ટાળી જબરજસ્તી કરનારને, ગુંડાને(bullies) શરણે થઈ જવાના. એકલદોકલ તો ઠીક ક્યારેક આખો સમાજ આવું કરતો હોય છે. ભારત એનું બહુ મોટું ઉદાહરણ છે. જેટલા પણ આક્રાન્તા આવ્યા ભારત પોતે નૈતિક રીતે અધ્યાત્મિક રીતે મહાન છે, યુદ્ધખોર નથી તેવું બતાવવા સંઘર્ષ ટાળી હમેશાં શરણે થઈ ગયું છે. હજુ કશો ફરક પડ્યો નથી.

શા માટે સામાજિક પ્રભાવ, સત્તા, સત્તાધિકાર મળે ત્યારે બ્રેન સિરોટોનીન આનંદની ભેટ શું કામ આપતું હશે? સસ્તન પ્રાણીઓએ હુમલાખોરથી બચવા ગ્રૂપમાં રહેવાનું શરુ કર્યું. જેથી સાઈડ બાય સાઈડ મજબૂત અને નબળા પ્રાણીઓ સાથે જીવી શકે અને બચી શકે. તેઓએ બ્રેન પણ એવું ઇવોલ્વ કર્યું કે જે બીજા સાથે સતત સરખામણી કર્યા કરે. એમાં લાગે કે કોઈ ફાયદો નથી તો બ્રેનમાં કોર્ટીસોલ નામનાં રસાયણનો સ્રાવ થશે તે દુઃખ આપશે અને વધુ પીડા સહન કરવી એના કરતા પાછા વળો ભાઈ. અનેલાગે કે આપણે મજબૂત સ્થિતિમાં છીએ તો બ્રેનમાં સિરોટોનીન સ્રાવ થઈને આનંદ આપશે જેથી તે આનંદ તરફ પાછો વધુ પ્રયત્ન કરવાનું મન થાય. એનો મતલબ એ નથી કે સતત સંઘર્ષ કરવો. ઉલટાનું સસ્તન પ્રાણીઓ બને એટલો સંઘર્ષ ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. ફક્ત જીત મળે એવું લાગતું હોય ત્યારે જ સંઘર્ષમાં ઉતરતું હોય છે. ક્યારેક ખોરાક કે મેટિંગ ઓપરચ્યુનીટી ભલે ગુમાવવી પડે પણ શારીરિક ઈજા વધુ ખતરનાક નીવડતી હોય છે તો તેનાથી બચો.

આપણે સભ્ય સમાજ સહકાર અને સહાનુભૂતિની વાતો કરીએ છીએ. પ્રાણીઓ એનાથી મજબૂત પ્રાણીને શરણે જાય છે ત્યારે સહકાર કે સહાનુભુતિ નહિ મજબૂરી હોય છે. આપણે ત્યાં મહાવરો છે ભય વિના પ્રીત નહિ. તે અમસ્તો નથી પડ્યો. તમે નબળા હો તો જબરાને શરણે સર્વાઈવ થવા થઈ જવાના  અને એને સહકાર સાથે સદભાવ પણ આપવાના જ છો. છતાં ભય વગરનું પણ એક સામાજિક જોડાણ પણ હોય છે. તેને માટે ઓક્સીટોસીન રસાયણ જવાબદાર છે. પ્રેમ અને વિશ્વાસનું જનક આનંદદાયક આ રસાયણ છે. આનું કડવું સત્ય એ છે કે તે ટોળાની માનસિકતા પેદા કરે છે. તમને હમેશાં ટોળામાં રહેવાનું જ ગમે છે. ટોળા બહાર નીકળો સમૂહ બહાર નીકળો એટલે તરત બ્રેનમાં પીડાદાયક કોર્ટીસોલ સ્રાવ થવાનો. ટોળામાં ઘૂસ્યા એટલે તરત શાંતિ.


આ રસાયણો એટલું બધું ગુડ ફીલિંગ કરાવતા હોય છે કે તમે સતત એને ચાહ્યા કરતા હોવ છો. મતલબ સુખની લાલસા વધતી જાય છે. સતત આનંદ મળે તેવી ઈચ્છા થયા જ કરતી હોય છે પણ તકલીફ એ છે કે આ રસાયણો સતત સ્રાવ થવા ઇવોલ્વ થયેલા જ નથી. એટલે જે જાણીને બેઠા છે બુદ્ધ મહાવીર કે કૃષ્ણ જેવા તેઓ સુખ અને દુખની પાર જવાનું કહેતા હોય છે. આ મહાપુરુષોને બ્રેન કેમેસ્ટ્રીની ખબર નહોતી. આ તો હમણા ૧૯૮૦મા ખબર પડી પણ અનુભવ મોટો શિક્ષક છે. અનુભવથી આ લોકો કહેતા હશે કે તમે સતત સુખ ના મેળવી શકો તેમ સતત દુઃખ પણ ના મેળવી શકો તો પછી એને પાર જાઓ. મહાવીર રાગ/વિરાગ નહિ વીતરાગ કહેતા. બુદ્ધ પ્રેમ અને ઘૃણા થી ઉપર ઉઠી કરુણાની વાતો કરતા તો કૃષ્ણે અનાસક્ત યોગની વાતો કરી. એટલે આપણે સતત સારું સારું અનુભવવા માંગતા હોઈએ છીએ પણ બ્રેન તે માટે ઇવોલ્વ થયેલું નથી. બ્રેન સતત સુખ આપતા રસાયણો છોડી શકે નહિ. અને દરેક માણસ તરફ વિશ્વાસ રાખવો સર્વાઈવલ માટે જોખમી છે. એટલે જ્યારે જ્યારે આપણે સિરોટોનીન અને ઓક્સીટોસીન જેવા રસાયણોને લીધે સારી લાગણી અનુભવીએ છીએ હર્ષ થાય છે તે અનુભવ બ્રેન ભવિષ્ય માટે ગાંઠે બાંધે છે. અને તે રીતે તમે કાયમ પ્રવૃત્ત થવા બ્રેનમાં એક ન્યુરલ રાજમાર્ગ બનાવો છો. ભૂતકાળના અનુભવો ભવિષ્ય માટે કામ લાગતા હોય છે. દાખલા તરીકે તમે નાના બાળક છો અને ઘરમાં કશું તોડ્યું તો તેના બદલે પિતા કે માતા તરફ થી સજા મળી કે ઠપકો મળ્યો. આ એક સામાજિક અસ્વીકાર થયો. બ્રેન તરત કોર્ટીસોલ રસાયણ સ્રાવ કરશે તમે દુઃખી થવાના. એમાંથી તમે શીખવાના કે ઘરમાં કશું તોડવું નહિ. પેઈન એવોઈડ કરો. ઘરમાં તમે માતા કે પિતાને હેલ્પ કરી સારું કામ એમના હિસાબે કર્યું તમને રીવોર્ડ મળશે શાબાશી મળશે, થોડું વહાલ મળશે. કશું મીઠાઈ જેવું ખાવાનું આપશે. એટલે બ્રેન તરત ઓક્સીટોસીન સ્રાવ કરશે પ્રેમ અને વિશ્વાસ વધશે આનંદ આનંદ.. આમ બ્રેનમાં ન્યુરોન્સ કનેક્ટ થઇ એક રાજમાર્ગ બનાવશે. ભવિષ્યમાં આનંદ મેળવવા તે કામ લાગશે. કે ઘરમાં કશું તોડવું નહિ પણ હેલ્પ કરવી.


એનાથી ઊલટું પણ થઈ શકે. તમે તોડફોડ કરો માતાપિતા ઢીલા હોય ગભરાઈ જાય તમારા શરણે થઈ જાય તમારી માંગ ઘટિત કે અઘટિત સ્વીકારી લે બ્રેન સિરોટોનીન સ્રાવ કરશે તમને આનંદ મળશે. તમે ડોમિનન્ટ ફિલ કરશો. ન્યુરોન્સ આ અનુભવ કામ લઈ સર્કીટ બનાવશે ભવિષ્યમાં તમે કશું જોઈતું હશે તો ઘરમાં તોડફોડ કરશો. તકલીફ ત્યારે થશે જ્યારે તમે તમારી માંગ સ્વીકારવા બહાર કોઈ સાથે તોફાન કરશો તો માર પડશે. તે વખતે તમને થશે આ દુનિયાને શું થયું છે? દુનિયા તમારા અનુભવો મુજબ ચાલતી નથી. બહાર ડગલેને પગલે અલગ લોકો અલગ અનુભવ લઈને ફરતા હોય છે. બહાર તમારી તોડફોડને લીધે ઘરમાં જે સહકાર મળતો હતો તે ના મળે. માતા આગળ દાદાગીરી કરી સિરોટોનીન ઓક્સીટોસીન આનંદ મેળવતા હતા તે પત્ની પાસેથી ના મળે. પત્નીના કદાચ પગ દબાવવા પડે તે માટે. તે વખતે લાગે આ સંસાર અસાર છે.


એવું જ માતાપિતાનું પણ હોય છે. પુત્ર આગળ દાદાગીરી ધાકધમકી વાપરી હોય તે પુત્રવધૂ આગળ ના ચાલે ઘરમાંથી નીકળવાનો વખત આવી જાય. પત્ની આગળ જોહુકમી કરી સિરોટોનીન આનંદ મેળવીએ છીએ તે ઓફિસમાં બોસ આગળ ના મેળવાય. ઉલટાનો બોસ આપણને ધમકાવી આનંદ મેળવતો હોય છે. સુખ અર્પતા રસાયણો આપણે હમેશાં નોર્મલ વહ્યા કરે તેમ ઇચ્છતા હોઈએ છીએ પણ તેમ બને નહિ ત્યારે આ દુનિયાને શું થયું છે તેવું થાય છે. આ રસાયણો આપણી સર્વાઈવલ નીડ ને અનુકુળ કશું થાય  ત્યારે જ સ્ત્રવે છે તે આપણને ખબર હોતી નથી. સતત તમે સુખી રહી ના શકો સતત તમે દુઃખી પણ ના રહી શકો. આ ના સમજાય ત્યારે લોકો સંસાર છોડી ભાગી જતા હોય છે પણ કરોડો વર્ષથી ઉત્ક્રાંતિ પામેલું બ્રેન તો સાથે જ લઈ જતા હોય છે એટલે ત્યાં પાછો નવો સંસાર વસાવી લેતા હોય છે.


ફરી પ્રથમ બનવાની હોડ શરુ, ફરીથી જીતવું જરૂરી બની જાય છે.

----------

લેખક  પરિચય
રાઓલ ભૂપેન્દ્રસિંહ આર

વતન માણસા, જીલ્લો ગાંધીનગર. સ્કૂલ સુધી અભ્યાસ વિજાપુરમાં, બીકોમ કર્યું વડોદરા એમ એસ યુનિમાં. પિતાશ્રી વકીલ હતા. વાંચન શોખ વારસામાં એમના તરફથી મળ્યો. થોડા વર્ષ ખેતી પણ કરેલી પછી વડોદરા સ્થાયી. ૨૦૦૫મા ઈમિગ્રેશન ફાઈલ પર અમેરિકા. ૨૦૧૦મા બ્લોગ લખવાનું શરુ કરેલું. બ્લોગ ખુબ પ્રસિદ્ધ થયેલો ને છે. એમાંથી બે પુસ્તકો પણ પબ્લીશ થયા. ૧) કુરુક્ષેત્ર મારા વિચારોનું ૨) માનવમન એક ચક્રવ્યૂહ જેની પ્રસ્તાવના જય વસાવડાએ લખી છે. અંધશ્રદ્ધા વિરુદ્ધ, સામાજિક અને ધાર્મિક પાખંડો વિરુદ્ધ લખવાનું ચાલુ જ છે.

બ્લોગ- http://raolji.com/