સમાજ
~હાર્દિક વ્યાસ
![]() |
| સમાજ : News Courtesy : The Indian Express |
Everyday she writes in a midday meal diary, 'No one ate today.'
રાધામ્મા દરરોજ શાળાએ આવે છે, ભોજન બનાવે છે.. અને રીસેસ પછી ડાયરી (જે એણે દરરોજ મેઈન્ટેઈન કરવાની હોય છે) કાઢીને એમાં આ ચાર શબ્દ લખે છે, 'No one ate today.'
6 Nov, 2015નાં 'The Indian Express'માં આ ટાઇટલ સાથે સમાચાર છપાયા હતાં. વિગત એવી છે, કે કર્ણાટકનાં કોલાર (સોનાની ખાણો માટે પ્રખ્યાત છે એ જ કોલાર) જીલ્લાના કાગ્ગનહાલી (Kagganhalli-ઉચ્ચાર અલગ હોઈ શકે છે) ગામની સરકારી પ્રાથમિક શાળામાં રાધામ્માની નિમણુંક રસોઈ કરવા માટે થઈ ત્યાર પછી 100 બાળકો સ્કૂલ છોડીને ગયા છે અને બાકીનાં બાળકો મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત પીરસાતું ભોજન નથી સ્વીકારતાં. કારણ? કારણ કે રાધામ્મા દલિત છે.
આ સમાજ માટે એક સંકેત નથી. એક અલાર્મ છે. કેમ કે આ શાળા પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાનાં બાળકોની ઉમર વર્ગ ભેદ સમજી શકે એવી નથી હોતી. વાલીઓ-વડીલો અને શિક્ષકોની નિષ્ક્રિયતા દર્શાવે છે. અને આ સ્થિતિ દેશની એક શાળા કે સંસ્થાની નથી. ઘણી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે.
આઝાદીને 70 વર્ષ પૂરા થશે અને હજી પણ અહીં જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ણ વગેરે રાજનીતિક મુદ્દા છે. વર્ણ વ્યવસ્થા જ્યારે સ્થપાઈ હતી ત્યારે એની જરૂર હતી કે નહિં.. ત્યારે એ ક્યા સ્વરૂપમાં હતી.. એ બધી ચર્ચામાં નથી પડવું, કારણ કે ત્યારે હું હાજર-હયાત ન્હોતો. પણ અત્યારે વર્ણ વ્યવસ્થા અલગ સમુદાયો વચ્ચે દિવાલ બની રહી છે. એ સમાજ વ્યવસ્થા માટે રેડ સિગ્નલ છે.
વર્ણ વ્યવસ્થાનાં ચાર વર્ણો ઉપરાંત અમુક જગ્યાએ તો આપણે શૂદ્ર, દલિત અને મહા દલિત એવા નવાં વર્ણભેદની શોધ કરી છે. હકીકત એ છે કે યુનિટિનાં નામે દંભી એકતા બતાવતો આપણો સમાજ અંદરથી ખોખલો છે.
બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, વેપારી સમાજ, દલિત સમાજ, ભદ્ર સમાજ, લઘુમતી સમાજ વગેરે અલગ અલગ સમાજનાં ઉધ્ધાર કરવાનાં ભવ્ય પુરુષાર્થમાં 'સમાજ'નો ઉધ્ધાર ખાડે જઈને અટક્યો છે. ખરેખર તો અટક્યો નથી.. હજુ પણ વધુ નીચે જઈ રહ્યો છે.
કહેવાતો ભદ્ર વર્ગ 'અમારે એવું કાંઈ નહિં', 'અમે તો એમને અમારા ઘરે જમવા પણ બોલાવીએ', 'અૉફિસમાં ટિફિન સાથે જ ખાઈએ'.. આવું બધુ છાતી ફુલાવીને કહે છે. આ ગર્વથી કહેવાની વાત નથી, સાહજીકતા સાથે દરેક સમયે અને સ્થળે સંપૂર્ણ સ્વીકાર કરી શકશો? સ્વીકાર એટલે રોટીથી લઈને બેટી સુધી સ્વીકાર. આ માત્ર કહીને જાહેર કરવાનું નથી.. દરેક સ્થળ પ્રસંગે વર્તનમાં લાવવાની જરૂર છે અને જાહેર જીવનમાં સંપૂર્ણ સ્વીકારનો સંદેશ સમગ્ર સમાજને જાય એ જરૂરી છે.
આ બધા માટે સમાજનો કહેવાતો ભદ્ર વર્ગ માત્ર જવાબદાર છે એવું નથી. માત્ર અને માત્ર દલિતોનાં હિત માટે કાર્ય કરતી સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ પણ એટલી જ જવાબદાર છે. નહિંતર આટલાં વર્ષો પછી પણ એક વર્ગ વિશેષ દલિત ગણાય અને એ વર્ગનાં નેતાઓ પણ એ વર્ગને દલિત કહેવડાવે એ જ એમની દાનતની ચાડી ખાય છે. જો દલિતોની સ્થિતિ સુધરી જાય અથવા દેશમાંથી કોઈ વર્ગ વિશેષ દલિત કહેવાતો બંધ થઈ જાય, તો એ સંસ્થાઓ અને નેતાઓને કોણ પૂછે? આમાં ગુમાવવાનું રાજકીય કે સામાજીક નેતાઓને નથી આવતું સમાજને આવે છે. આટલાં વર્ષોમાં એ નેતાઓએ હરિજન, વાલ્મિકી સમાજ, દલિત વગેરે અલગ નામ-કરણ અને આંદોલનો સિવાય સમાજ માટે વિશેષ શું કર્યું એ સંશોધનનો વિષય છે.
હજી પણ સમય છે... સમય પારખીને એક સમાજ બનીને નહિં રહી શકીએ તો સમાજ અસંખ્ય ટુકડાઓમાં વહેંચાશે.. વહેંચાઈ રહ્યો જ છે. વર્ગ ભેદ કરાવનારાઓનાં તો રોટલા એની ઉપર નભે છે એટલે એ કરશે. આપણે સાચું સમજીને એક સમાજ તરીકે રહેવાની જરૂર છે. પરિસ્થિતિ એટલી ગૂંચવાયેલી છે કે આ સહેલું નથી લાગતું. પણ ક્યાંક તો શરૂ કરવાનું છે કે નહિં. સમાજને તૂટવા નહિં દેવાનો રસ્તો એક જ છે. વિભાજન વાદીઓને ઓળખીને એમના ઈરાદા પાર ન આવવા દેવા. અને સમાંતરે સાચા અને સમાજ ઉપયોગી શિક્ષણને સ્વીકારી એનો તમામ વર્ગમાં પ્રસાર કરવો. શિક્ષણમાં 'સમાજ વિદ્યા' કે 'સામાજીક વિજ્ઞાન'નાં બદલે 'સમાજ નવરચના' પ્રેક્ટીકલ શીખવવું ફરજીયાત કરવું જોઈએ. બાળકોને વર્ગ અને વર્ણનાં શિક્ષણથી દૂર જ રાખવા જોઈએ.
અત્યારે આટલું જ કહીશ. તાજેતરની ઘટનાઓ વિષે એટલું બધું લખાઈ રહ્યું છે કે એ વિષે હું વધું નહિં કહું. માત્ર તમામ વર્ગને સમજપૂર્વકનાં વર્તનની અપીલ કરીશ.
અસ્તુ.
હાર્દ ક્વોટ :
"We are united only to keep some one lonely."
હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 24/07/2016
e-mail id : haardhits@gmail.com
